મહારાષ્ટ્રમાં લોકસભા બાદ હવે વિધાનસભાની ચૂંટણીઓનો માહોલ બંધાઈ રહ્યો છે. મુંબઈના મશહૂર ધારાવીના પુનઃવિકાસ માટે એક તરફ વિકાસના વિરોધમાં કેટલાક નવા ચૂંટાયેલા સાંસદો મેદાને પડ્યા છે, ત્યારે 24મી જૂને, પોતાના જન્મદિવસે દેશના બીજા સૌથી મોટા ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ અદાણી ગ્રુપની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)ને સંબોધતાં શેરધારકોને કંપનીની ભાવિ યોજનાઓ સાથે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (Dharavi redevelopment project) વિશે પણ વાત કરીને પોતાના દ્રઢ ઈરાદા અને વિકાસલક્ષી સ્વપ્નોને સાકાર કરવાની નેમ ફરી દોહરાવી છે.
ગ્રુપની એજીએમમાં ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિશે વાત કરતાં ગૌતમ અદાણીએ તેને વિશ્વનો સૌથી મોટો રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે તેમનું જૂથ આગામી દાયકામાં મુંબઈની ધારાવીનો પુનઃવિકાસ કરશે. આનાથી અહીંના 10 લાખ રહેવાસીઓને માત્ર ગૌરવપૂર્ણ જીવન જ નહીં મળે, પરંતુ મુંબઈના હૃદયમાં વસવાટ માટેની સાતત્યપૂર્ણ નવી ઇકોસિસ્ટમ પણ વિકસિત થશે.
અદાણી ગ્રુપે આ વર્ષે ફેબ્રુઆરીમાં અહીં સર્વે શરૂ કર્યો છે. જેમાં લોકો અને રહેવાસીઓની ઓળખ કરવામાં આવી રહી છે, જેના આધારે તેમને પુનર્વિકાસ પછી નવાં ઘરો મળશે. સાથે જ અહીંના ઘણા નાના મધ્યમ ઉદ્યોગોનો સિતારો પણ ચમકશે. 1850ના દાયકાની આસપાસ, ધારાવીની વસતીમાં ઔદ્યોગિક કામદારો અને હસ્તકલા કળાકારોનું વિષમ મિશ્રણ હતું. એ સમયે સૌરાષ્ટ્ર – કાઠિયાવાડ અને કચ્છથી સ્થળાંતર કરનારા માટીકામના કારીગરો અહીં આવીને વસવા લાગ્યા. આજે આ કારીગરોની વસાહત જ્યાં આવી છે, તે વિસ્તાર કુંભારવાડા તરીકે ઓળખાય છે. અહીં હાથ વડે ઘડાતાં માટીકામનાં ઉત્પાદનોએ હસ્તકલાને ટકાવી રાખી છે.
પરંપરાગત ઉદ્યોગ હોવા છતાં કુંભારવાડાની સંકડામણ અને ભઠ્ઠીઓમાંથી નીકળતો ધુમાડો જોખમી જણાય છે. એક સ્થાનિકના જણાવ્યા પ્રમાણે, આસપાસ જગ્યા ન હોવાને કારણે ધુમાડો બહાર નીકળતો નથી અને તે આપણા ઘરોમાં પ્રવેશ કરે છે. બાળકો પણ આ જ ધુમાડામાં રમવા મજબૂર છે. અહીંના મોટાભાગના સ્થાનિકોએ પુનઃવિકાસના પ્રસ્તાવને આવકાર્યો છે. કેમકે કામકાજ અને જીવનશૈલીમાં સુધારો કરવાનો બીજો કોઈ રસ્તો નહીં હોવાનું તેઓ દ્રઢતાપૂર્વક માને છે.
શ્રી સોરઠિયા પ્રજાપતિ કુંભાર સમાજ શ્રી બાઈ પરગણા ટ્રસ્ટના ભૂતપૂર્વ મંત્રી અશ્વિન રણછોડભાઈ સોલંકી કહે છે કે અમે 80થી વધુ વર્ષોથી અહીં વસેલા છીએ. માટીકામથી અમારો જીવનનિર્વાહ ચાલે છે. રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે અમારી સમક્ષ કોઈ વિગતો આવી નથી. પરંતુ અમારો સમાજ ઈચ્છે છે કે અમારા માટે કોઈ પણ આયોજન કરતા પહેલાં અમારી સાથે બેસીને વાતચીત, ચર્ચા અને માહિતીની આપ-લે કરવામાં આવે. આ પ્રોજેક્ટ જરૂરી છે, કેમકે કોઈ પણ વ્યક્તિ પૂરી જિંદગી ઝૂંપડપટ્ટીમાં રહેવા માગતું નથી.
માટીકામના વ્યવસાયમાં મશીનરી અને ટેકનોલોજી ઘણી આગળ વધી છે, પરંતુ અમે તાલમેળ જાળવી શક્યા નથી. ઉપરાંત, ગુજરાતમાં જે રીતે આ વ્યવસાય માટે સબસિડી મળે છે, તેવા લાભ અહીં નથી. ભઠ્ઠીના ધુમાડાનો ઉકેલ પણ જરૂરી છે, જો રિડેવલપમેન્ટમાં તેનો નીવેડો આવે તો તે ખૂબ આવકારદાયક ગણી શકાય. અગાઉ મકાનોની આસપાસ ખુલ્લી જગ્યાને કારણે ભઠ્ઠીઓનો ધુમાડો આકાશમાં ઊડી જતો, પરંતુ હવે અનેક મકાનો બંધાઈ જતાં રસ્તા અને ઘરો બંને ગીચ છે. વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ ખરી. રિડેવલપમેન્ટ થશે તો આ બધી સમસ્યા હલ થઈ જશે.
કુંભારવાડામાં જ રહેતા અને એકાઉન્ટન્સીના વ્યવસાય સાથે જોડાયેલા અન્ય એક યુવાન પારસ કિડેચા કહે છે કે અહીં અત્યંત નાનાં ઘરો છે અને સુવિધાઓનો ખૂબ અભાવ છે. અમારું પોતાનું ઘર છે. પણ સંકડામણ છે. રિડેવલપમેન્ટમાં વધુ સ્પેસ મળશે. રિડેવલપમેન્ટની વાતો મારાં દાદા-દાદીના સમયથી સંભળાય છે. પરંતુ હવે એ દિશામાં કંઈ થઈ રહ્યું છે, તે સારું છે. એમની અને અમારાં માતા-પિતાની જિંદગીનાં આટલાં બધાં વર્ષો માત્ર વાતોમાં જ ગયાં છે. હવે અમે અહીંના યુવાનો મહારાષ્ટ્ર સરકાર અને અદાણી જૂથ દ્વારા હાલ જે રિડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તે સારું જ થશે એમ માનીએ છીએ. એનાથી જીનવશૈલી બદલાશે. પ્રદૂષણ હટશે અને સ્વચ્છ હવા-પાણી અને વાતાવરણ મળશે. જેનો પરિવાર મોટો થાય તેને ધારાવી છોડીને બહાર જવું પડે છે, પરંતુ તે મુંબઈ જેવા શહેરમાં પરવડે તેમ નથી. એટલે રિડેવલપમેન્ટ પછી મોટી જગ્યા મળશે તેનાથી ધારાવીથી સ્થળાંતર અટકશે. રિડેવલપમેન્ટનો વિરોધ ન થવો જોઈએ. અહીંના રહેવાસી માટે તો એ ઘણું સારું જ છે.
માંડ 10 બાય 4ની ઓરડીમાં પોતાના પરિવાર સાથે રહેતાં ગૃહિણી કાંતા કિડેચા કહે છે કે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટથી અમને મોટું અને સારું ઘર મળશે. અમે સ્વચ્છ વાતાવરણમાં રહી શકીશું. ચોમાસામાં વરસાદનાં પાણી અને ગટરો ભરાવાની સમસ્યા અને તેને કારણે સ્વાસ્થ્ય પર અસર થાય છે, તે સમસ્યા દૂર થશે. નવાં ઘરોમાં સવલતો પણ મળશે.
શ્રી સોરઠિયા પ્રજાપતિ કુંભાર સમાજ શ્રી બાઈ પરગણા ટ્રસ્ટના પ્રમુખ જયંતીભાઈ રામજીભાઈ મજેવાણિયા કહે છે કે જે કોઈ બિલ્ડર આવે તે પહેલાં અમારા સમાજને ભેગો કરીને અમને જાણ કરે કે તેઓ કેવી રીતે બનાવીને આપવા માગે છે. માટીકામ અમારા બાપદાદાએ આપેલો વ્યવસાય છે અને એ અમે ચાલુ રાખીશું.
ઉનાથી આવીને વસેલા કુંભાર સમાજ – ઉના ખાટા ટ્રસ્ટના પ્રમુખ અને દિવાળી અને અન્ય તહેવાર-પ્રસંગો નિમિત્તે કોડિયાં બનાવવાનો વ્યવસાય કરતાં ધનસુખ પરમાર કહે છે કે 1933થી સાડા બાર એકરમાં અમારો કુંભારવાડો પથરાયેલો છે. સારું વાતાવરણ કોને ન ગમે? રિડેવલપમેન્ટમાં સારું વાતાવરણ બનશે, તે આવકાર્ય છે. અમારું કામ માટી – જમીન સાથે જોડાયેલું છે, અમારી ભઠ્ઠીઓ છે, જેના ઉપરથી અમે કોઈ બિલ્ડિંગમાં જઈને ન કરી શકીએ. પરંતુ વસાહતને અમારી સારી તો બનાવવી જ છે. હવે તે સરકાર કેવી રીતે કરશે, તે જોવાનું રહેશે. હજુ એ બાબતે અમને કોઈ જાણકારી અપાઈ નથી. અમારા હાથમાં હજુ અમારા પુનઃવસવાટની બ્લુપ્રિન્ટ આવી નથી, પરંતુ અમને સારી વસાહત અને સારી જીવનશૈલી અવશ્ય જોઈએ છે.
કુંભારવાડામાં જ વસતા અને દરજીનો વ્યવસાય કરતાં નવીનભાઈ પરમાર જણાવે છે કે અહીં અમે 73 વર્ષથી રહીએ છીએ. મારી મા 96 વર્ષની હતી. પરંતુ એમને ઉંમરને કારણે શૌચાલયનો ખૂબ પ્રોબ્લેમ થતો હતો. એટલે થોડો સમય અમારે બહાર રહેવા જતા રહેવું પડ્યું હતું. અહીં અમને રોજીરોટી મળી રહે છે. પરંતુ રહેવાની ખૂબ સમસ્યાઓ છે. અમે સારા વાતાવરણમાં રહેવા માગીએ છીએ. હાલના પ્રોજેક્ટને અમે આવકારીએ છીએ. એનાથી અમારી જિંદગીમાં ઘણો મોટો ફરક પડશે. અમારાં બાળકોનું જીવન બદલાઈ જશે.