ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ 1984ના સુવર્ણ મંદિર હુમલા અંગે સનસનાટીભર્યો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ બ્રિટન સાથે મળીને સુવર્ણ મંદિર પર હુમલો કર્યો હતો. દુબેએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે શીખ સમુદાય કોંગ્રેસ માટે માત્ર એક રમકડું છે. શીખોના નરસંહારને છુપાવવા માટે મનમોહન સિંહને 2004માં “કઠપૂતળી વડાપ્રધાન” બનાવવામાં આવ્યા હતા.
અહેવાલ શેર કરીને દાવો કર્યો
ભાજપના નેતાએ પોતાના x હેન્ડલ પર ગૃહ સચિવના કથિત અહેવાલને ટાંકીને લખ્યું, “1984માં સુવર્ણ મંદિર પર હુમલો બ્રિટનના સહયોગથી કરવામાં આવ્યો હતો. બ્રિટિશ સેનાના અધિકારીઓ અમૃતસરમાં હાજર હતા. કોંગ્રેસ માટે શીખ સમુદાય માત્ર એક રમકડું છે.”
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કરતારપુર સાહિબને પાકિસ્તાનને સોંપવાના કરાર પર સરદાર સ્વરણ સિંઘ દ્વારા 1960માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, 1984માં શીખોના નરસંહારને છુપાવવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને રક્ષણ આપવામાં આવ્યું હતું અને મનમોહન સિંહને 2004માં “કઠપૂતળી વડાપ્રધાન” બનાવવામાં આવ્યા હતા.
ભાજપે ગૃહ સચિવનો એક કથિત ગોપનીય પત્ર શેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય સત્તાવાળાઓએ સુવર્ણ મંદિરમાંથી શીખ ઉગ્રવાદીઓને હટાવવા અંગે બ્રિટન પાસેથી સલાહ માંગી છે. આ પત્ર વિદેશ અને કોમનવેલ્થ ઓફિસના પ્રાઈવેટ સેક્રેટરી બ્રાયન ફોલ દ્વારા તત્કાલિન ગૃહ સચિવના ખાનગી સચિવ હ્યુ ટેલરને લખવામાં આવ્યો હતો.
આ પત્ર દ્વારા નિશિકાંતે પોતાનો દાવો મજબૂત કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વિદેશ સચિવ વિનંતી સાથે સંમત થયા અને બ્રિટિશ વડાપ્રધાનની મંજૂરીથી શિરોમણી અકાલી દળના એક અધિકારીએ ભારતની મુલાકાત લીધી. આ અધિકારીએ એક યોજના બનાવી, જેને ઈન્દિરા ગાંધીએ મંજૂરી આપી. આ યોજના ટૂંક સમયમાં અમલમાં આવે તેવી શક્યતા હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે સુવર્ણ મંદિર પરની કાર્યવાહીથી પંજાબમાં સાંપ્રદાયિક હિંસા ભડકી શકે છે, જેનાથી ભારત અને યુકેમાં શીખ સમુદાય વચ્ચે તણાવ વધવાનું જોખમ હતું, ખાસ કરીને જો બ્રિટિશ સ્પેશિયલ ફોર્સિસ (એસએએસ) ની ભૂમિકા સામે આવી હોય. આથી ભારત અને લંડનમાં આ માહિતીને ગુપ્ત રાખવામાં આવી હતી. વિદેશ સચિવે તેને મર્યાદિત લોકો સુધી રાખવાની સલાહ આપી હતી. પત્રની નકલો નંબર 10 ડાઉનિંગ સ્ટ્રીટ, સંરક્ષણ મંત્રાલય અને કેબિનેટ ઓફિસને મોકલવામાં આવી હતી.


