ગુજરાત હાઇકોર્ટે સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર ડિમોલિશન (તોડફોડ) કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પર કડક નારાજગી વ્યક્ત કરી. કોર્ટે કહ્યું કે સરકાર હાઇકોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ન કરે. સાથે જ કોર્ટે એક્ઝેક્યુટિવ એન્જિનિયરના આક્ષેપ વિશે પણ સવાલ કર્યો હતો.
જોકે, એડવોકેટ જનરલે એક્ઝિક્યુટિવ એન્જિનિયરની વિશ્વસનીયતા પર વિશ્વાસ મૂકવાનો ઇનકાર કર્યો. તેમણે દલીલ કરી કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર રસ્તા સંબંધિત કાર્યો સંભાળે છે, તો ડિમોલિશનની કાર્યવાહી સાથે તેમનો શું સંબંધ છે? તેમણે એ પણ કહ્યું કે કમિશ્નર તેમના સામે લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢશે. તેના પર હાઇકોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર અદાલતને ગેરમાર્ગે દોરી રહી છે.
કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું
સુરતના નાસીરનગર ડિમોલીશનનો મુદ્દો હાલ હાઈકોર્ટમાં પહોચ્યો છે. જ્યાં સરકાર સાથે સુરત પાલીકા પર પણ સવાલ ઉઠાવાય રહ્યા છે. જો કે એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે કમિશ્નરે નોટિસ આપવા વગર કાર્યવાહી કરવા SMC ના કોઈ કર્મચારીને નહોતું કહ્યું. કોર્ટે પૂછ્યું હતું કે, તો કમિશ્નરને પ્રાઇવેટ પ્રોપર્ટીમાં રસ કેમ છે ? આ જમીનનો ભાગ એક પારસીના નામે છે. જેના જવાબમાં એડવોક્ટ જનરલે જણાવ્યું હતું કે, પ્રાઇવેટ વ્યક્તિની જમીન ખાલી કરાવવા માટે SMC સમક્ષ રજૂઆત આવી હતી, પણ SMC એ ના પાડી હતી કે પહેલા ડિમાર્કેશન કરવું પડે.
એડવોકેટ જનરલે કહ્યું હતું કે અહીં વર્ષ 1980થી રોડ બનાવવાનું નક્કી હતું. ખાનગી વ્યક્તિએ રોડ માટે જમીન આપી, તેને ડિમાર્કેશન કરવા કહ્યું પણ ડિમોલિશન થયું. કોર્ટે કહ્યું હતું કે તેઓ આ વાતથી કન્વિન્સ નથી, જમીનના ખરા માલિકે કોર્પોરેશનનો ઉપયોગ કર્યો છે. કોર્ટ રાજ્ય ચલાવતી નથી. રાજ્યને ખબર પડી કે, 150 ઘર તોડી પાડયા તે પણ કાનૂની કાર્યવાહી વગર, શું આ મોટી વાત નથી? જવાબમાં એડવોકેટ જનરલે હાઇકોર્ટને જણાવ્યું હતું કે, નાસીરનગરના લાયકાત ધરાવતા લોકોના પુનઃ વસન માટે 120 ફ્લેટ ખાલી છે. સરકારે હાઈલેવલ કમિટી બનાવવાનું નક્કી કર્યું, જેમાં અર્બન હાઉસિંગ અને ડેવલપમેન્ટ વિભાગના બે સિનિયર ઓફિસર હશે. અંતે કોર્ટે પૂછ્યું હતું કે, રાજ્ય દ્વારા નિમાયેલી આ કમિટીમાં તલસ્પર્શી અભ્યાસ લખ્યું છે, એટલે શું ? તપાસનો સ્પષ્ટ વિષય શું છે? એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે આ ઘટનામાં સામેલ દરેક અધિકારી અને કર્મચારીઓના રોલની તપાસ થશે.


