Humaira Asghar Death Mystery: ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ સૈયદ અસદ રઝાએ જણાવ્યું કે હુમૈરાના મોબાઈલના કોલ ડિટેઈલ રેકોર્ડ (સીડીઆર) મુજબ છેલ્લો કોલ ઓક્ટોબર 2024માં કરવામાં આવ્યો હતો. તેના પડોશીઓએ પણ પુષ્ટિ આપી હતી કે તેઓએ સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024 પછી તેણીને જોઈ નથી. ખાસ વાત એ હતી કે તેના ફ્લોર પરનો બીજો ફલેટ ખાલી હતો, તેથી કોઈ દુર્ગંધ કે હલનચલન અનુભવાઈ ન હતી.
આ ઘટનાને વધુ કરુણ બનાવનારી બાબત એ છે કે હુમૈરાનો છેલ્લો વોઇસ મેસેજ, જે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેણીએ આ સંદેશ તેના મિત્ર દુર્શેહરને મોકલ્યો હતો, જે તે સમયે મક્કામાં હજ યાત્રા પર હતી. તે સંદેશમાં હુમૈરા ભાવનાત્મક રીતે કહે છે, “મારા માટે ખૂબ પ્રાર્થના કરો… મારી કારકિર્દી માટે પણ… તમારી પ્રાર્થનામાં મને યાદ રાખજો.”
હકીકતમાં, હુમૈરાના મૃત્યુનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક બેલિફ (કોર્ટ ઓફિસર) ભાડું ન ચૂકવવા બદલ ઘર ખાલી કરાવવાની નોટિસ આપવા માટે તેના ઘરે આવ્યો. જ્યારે પોલીસે ઘરમાં પ્રવેશ કર્યો તો દરવાજો અંદરથી બંધ હતો અને લાશ ખૂબ જ સડી ગયેલી હાલતમાં મળી આવી હતી.
કરાચી પોલીસ સર્જન ડૉ. સુમૈયા સૈયદે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવ્યું હતું કે શરીર લગભગ હાડપિંજરમાં ફેરવાઈ ગયું હતું અને આંતરિક અવયવો સંપૂર્ણપણે સડી ગયા હતા. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે ઝીણવટભરી ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
શરૂઆતમાં પરિવારજનો મૃતદેહ સ્વીકારવામાં આનાકાની કરતા હતા, પરંતુ બાદમાં તેમના ભાઈએ અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. કોઈપણ શંકાસ્પદ સંજોગોને સંપૂર્ણપણે નકારી કાઢવા માટે પોલીસ હવે તેના ડિજિટલ રેકોર્ડ્સ અને બેંક સ્ટેટમેન્ટની તપાસ કરી રહી છે.
આ કેસમાં ગંભીર સામાજિક પ્રશ્નો ઉભા થયા
હુમૈરાના મૃત્યુએ ફરી એકવાર એકલા રહેતા લોકોની સામાજિક ઉપેક્ષા, માનસિક સ્વાસ્થ્ય અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીના ચમક-દમકની પાછળના ઘેરા પાસાઓ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.


