ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. પાકિસ્તાન તરફથી બે દિવસથી રાતના સમયે ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે જેના વિરુદ્ધ ના આપણાં જાંબાઝ સૈનિકો જડબાતોડ જવાબ આપી રહ્યા છે અને તેમના તમામ હુમલા નકામ કરી રહ્યા છીએ.
આવી સ્થિતિમાં દાદર નજીકના પ્રભાદેવીમાં આવેલા ગણપતિબાપ્પાના વિખ્યાત શ્રી સિદ્ધિવિનાયક મંદિરના સંચાલકોએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગણપતિબાપ્પાનાં દર્શન કરવા આવનારા ભક્તો રવિવારથી મંદિરમાં નારિયેળ કે પ્રસાદ નહીં લઈ શકે.
શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટના ચેરમેન અને શિવસેનાના ભૂતપૂર્વ વિધાનસભ્ય સદાનંદ સરવણકરે આ વિશે કહ્યું હતું કે, ‘પોલીસ અને મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલી ઍડ્વાઇઝરી મુજબ અમે મંદિર અને ભક્તોની સિક્યોરિટી માટે મંદિરમાં નારિયેળ અને પ્રસાદ લઈ જવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો બાપ્પાનાં દર્શન કરવા આવે છે એટલે તેમની પાસેનું દરેક નારિયેળ અને પ્રસાદ ચેક કરવામાં ઘણો સમય લાગે છે. બીજું, નારિયેળ જોખમી સાબિત થઈ શકે છે અને પ્રસાદમાં કોઈ ઝેર ભેળવીને ભક્તોને મુશ્કેલીમાં મૂકી શકે છે.
2006 અને 2007માં આતંકવાદીઓના હિટ લિસ્ટમાં સિદ્ધિવિનાયક મંદિરનો સમાવેશ હતો ત્યારે પણ સલામતી માટે આવી રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.