જમ્મુ-કાશ્મીર માટે પ્રવાસન એની જીવાદોરી સમાન છે. આ રાજ્યના લાખો પરિવારોનાં ઘરનો ચૂલો પ્રવાસનથી થનારી આવકથી ચાલે છે, પરંતુ પહલગામ આતંકવાદી હુમલા બાદ પ્રવાસનના બિઝનેસ પર જબરદસ્ત ફટકો પડ્યો છે. જમ્મુ-કાશ્મીરના પૉપ્યુલર હિલ રિસૉર્ટ્સ વેરાન નજરે આવી રહ્યા છે. પટનીટૉપ, નત્થાટૉપ અને સનાસરમાં પ્રવાસન વ્યવસાયને ભારે નુકસાન થયું છે. જમ્મુ અને કાશ્મીરમાં હાલ એપ્રિલ, મે-જૂનના સમયે પ્રવાસીઓ ઊમટી પડતા હોય છે. અહીં પ્રવાસીઓને હોટેલમાં રહેવામાં મદદ કરવા, મુસાફરી કરવા, ફરવા અને ખરીદી કરવા લઈ જવા જેવી પ્રવળત્તિં કરી સારી કમાણી કરે છે.
સ્થાનિક હોટેલ સંચાલક અનુસાર પહલગામ હુમલા બાદ હોટેલોમાં હાજર તમામ મહેમાન તાત્કાલિક પોતાના ઘરે પરત ફર્યા અને તેમને મળેલાં તમામ બુકિંગ કૅન્સલ થઈ ગયાં. એક અંદાજ પ્રમાણે અહીંની હોટેલોનું ૯૦ ટકા બુકિંગ કૅન્સલ થઈ ગયું છે અને પર્યટન સ્થળો સૂમસામ થઈ ગયાં છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી એવી આશંકા સેવાઈ રહી હતી કે સહેલાણીઓ કાશ્મીરને અનસેફ ગણીને ત્યાંથી પલાયન થવા લાગશે, પરંતુ પાંચ જ દિવસ પછી અનેક ટૂરિસ્ટ-સ્થળોએ ફરીથી એટલા જ ટૂરિસ્ટો જોવા મળ્યા હતા. ગઈ કાલે દલ લેકમાં શિકારાની રાઇડ માણવા માટે સહેલાણીઓનો જબરો ધસારો હતો.