મારા સ્નેહી સાથીઓ-શુભકામનાઓ
અપની બાત, અપનો કે સાથ” – આજે ૧લી મે ના આંતરરાષ્ટ્રીય શ્રમિક દિનના આ મહત્વના અને શુભ અવસરે – આપણે સંવાદની આ શ્રેણી શરૂ કરી રહ્યા છીએ.
હું માનું છું કે જીવન ‘ગઈકાલ, આજ અને આવતીકાલ’ સુધી વિસ્તરેલી એક નિરંતર સફર છે – જેમાં આપણે બધા ભૂતકાળમાંથી શીખીએ છીએ, વર્તમાનને સમજીએ છીએ અને ભવિષ્યને કંડારીએ છીએ.
અદાણી ગ્રુપમાં આપણી વિકાસ યાત્રા પણ આ જ ફિલસૂફી આધારિત છે; પ્રત્યેક અનુભવ, દરેક નિર્ણય અને હરેક સિદ્ધિ આપણા સામૂહિક શિક્ષણનો અભિન્ન ભાગ છે.
એ મહત્વનું છે કે એક પરિવાર તરીકે, આપણે આ શિક્ષણ અને વિચારો ખુલ્લા દિલે એકબીજા વચ્ચે વહેંચીએ, જેથી ભેગા મળીને આપણે આપણા વ્યવસાય, આપણા લોકો અને ભવિષ્ય માટે આપણા બધા હિસ્સેદારોને વધુ સશક્ત અને તાકાતવાન બનાવી શકીએ.
“અપની બાત, અપનો કે સાથ” – એ જ ભાવનામાંથી ઉદભવેલો પ્રયાસ છે – જ્યાં, સમયાંતરે, સંવાદના માધ્યમથી, આપણે આપણી સફરને વધુ સ્પષ્ટ, સશક્ત, અર્થપૂર્ણ અને સહભાગી બનાવીશું.
આજનો દિવસ આપણા બધા માટે એક દિવસ છે.
આજનો દિવસ એ દરેક વ્યક્તિ કે જે મહેનતુ છે – તેમનો દિવસ છે.
એ દરેક વ્યક્તિ જે સખત મહેનતમાં વિશ્વાસ રાખે છે,
પોતાના પરસેવાની શક્તિને સમજે છે,
અને જે મુશ્કેલીઓથી ભાગતો નથી, પરંતુ તેનો સામનો કેવી રીતે કરવો તે જાણે છે –
આજનો દિવસ તેમનો દિવસ છે.
જેની પાસે હિંમત, સ્થિતિસ્થાપકતા અને કંઈક અસાધારણ હાંસલ કરવાનો જુસ્સો છે –
આજનો દિવસ તેઓ બધાનો છે.
તેથી જ- આ દિવસ – મારો, તમારો અને આપણા બધાનો દિવસ છે.
આજે આંતરરાષ્ટ્રીય મજૂર દિન છે.
આ માત્ર એક તારીખ નથી, પરંતુ તે ભાવનાનો ઉત્સવ છે જે વ્યક્તિને તેના સપનાઓને સાકાર કરવાની શક્તિ આપે છે.
અને મિત્રો, આ દિવસ મારા માટે બીજા એક કારણસર પણ વિશેષ છે.
૧લી મે ૧૯૮૬ના રોજ, ૪૦ વર્ષ પહેલાં, મેં પ્રીતિ સાથે લગ્નનું પવિત્ર બંધન બાંધ્યું હતું, અને મારા જીવનના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે જીવનની નવી યાત્રા શરૂ કરી હતી.
અને આ દિવસની શરૂઆત આથી વધુ સારી કઈ રીત હોઈ શકે –
આજે સવારે મારી પત્ની, પ્રીતિ સાથે કેદારનાથ ધામની મુલાકાત લઈને દેવાધિદેવ મહાદેવના પવિત્ર આશીર્વાદ પ્રાપ્ત કરવાનો પાવન અવસર મળ્યો.
ત્યાં, સાથે મળીને, અમે સર્વશક્તિમાનને પ્રાર્થના કરી –
આ મહાન રાષ્ટ્ર, ભારતમાં મને જન્મ આપવા બદલ;
આ દેશની સેવા કરવાની તક આપવા બદલ,
તેમજ મને આપનો બધો સ્નેહ અને વિશ્વાસ આપવા બદલ.
અમે તેમના આભારી છીએ.
આ વેળા, આપણો દેશ અવિરત પ્રગતિ અને સમૃદ્ધિ કરતો રહે અને આપ તમામનું જીવન સુખ, શાંતિ અને સારી તંદુરસ્તીથી સભર રહે એવી અમે પ્રાર્થના પણ કરી.
અને ત્યાં, અમે એક ગંભીર સંકલ્પ પણ કર્યો –
કે, નવા ઉમંગ અને તાજી ઉર્જા સાથે એક થઈને,
અમે વધુ મોટા લક્ષ્યો હાંસલ કરવાની દીશામાં કામ કરવાનો પ્રયાસ કરીશું.
આપણે ઇતિહાસના એક એવા વળાંક પર ઉભા છીએ જે અસાધારણ મહત્વ ધરાવે છે.
લાંબા સમયના સંઘર્ષ બાદ આપણા રાષ્ટ્રને ૧૯૪૭ માં આઝાદી મળી.
આજે, જ્યારે આપણે સ્વતંત્રતાના લગભગ એંસી વર્ષ નજીક આવી રહ્યા છીએ, ત્યારે આપણે – સખત મહેનત અને આપણી બહાદુરી દ્વારા – એક એવા અનુકૂળ સ્થાન પર ઉભા છીએ જ્યાં સમગ્ર દુનિયા ભારત તરફ આશા અને અપેક્ષા સાથે મીટ માંડીને જોઇ રહી છે.
આ એવો સમય છે જ્યારે આપણે જે પણ પ્રયાસ કરીએ છીએ તે ફક્ત વ્યક્તિગત કે સંસ્થાકીય પ્રકૃતિનો ના રહેતા તે રાષ્ટ્રીય સ્તરે મહત્વનો દરજ્જો ધારણ કરે છે.
આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ, ભારતની યુવા શક્તિ, તેની ઉર્જા અને તેની ક્ષમતામાં ભરપૂર ભરોસો મૂકીને, ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાનો સંકલ્પ કર્યો છે.
અલબત્ત, આ સંકલ્પ…
કોઈ એક વ્યક્તિ,
કોઈ એક સંસ્થા,
અથવા તો કોઈ એક સરકારના પ્રયાસો દ્વારા પૂર્ણ થઈ શકે નહીં.
આ સંકલ્પ સિધ્ધ કરવા માટે આ દેશના ૧૪૦ કરોડથી વધુ નાગરિકોએ સંપૂર્ણ ઇમાનદારી, અનંત ઉર્જા અને સંપૂર્ણ સમર્પણભાવ સાથે એક થવું જોઈએ.
અદાણી ગ્રુપ પણ આ દેશનો એક હિસ્સો છે.
તેથી, આપણા માટે તે ફક્ત એક તક નહી, પણ આપણા રાષ્ટ્રને વિકસિત બનાવવાની આ સફરમાં આપણો હિસ્સો આપવાની આપણી ગંભીર જવાબદારી છે.
શક્ય છે કે આપનામાંથી કેટલાક લોકો એવું વિચારતા હશે કે આપણા વિશાળ દેશમાં, આટલી વિરાટ વસ્તી વચ્ચે, મારા એકલાનું યોગદાન શું ફરક પાડી શકે?
” તમે પૂછી શકો કે, “જો હું કંઈ જ ન કરું તો પણ?” ખરેખર શું થશે
આ જ વિચારના સંદર્ભમાં હું આપની સાથે એક વાર્તા શેર કરવા માંગુ છું.
રામાયણમાં, એક ઘટના છે,
જ્યારે, ભગવાન રામના નેતૃત્વ હેઠળ,
આખી વાનર સેના દરિયા કિનારે પહોંચી અને સમુદ્ર પાર કરીને લંકા સુધી સેતુ બંધ બાંધવાનું ભવ્ય કાર્ય શરૂ કર્યું. શક્તિશાળી વાનર અને રીંછ મોટા પથ્થરો ઉપાડીને સમુદ્રમાં ફેંકી રહ્યા હતા.
તે જ ક્ષણે, ભગવાન રામ અને લક્ષ્મણ કાર્યની પ્રગતિ જોવા માટે પહોંચ્યા.
ત્યાં, તેઓએ વારંવાર સમુદ્ર તરફ દોડી રહેલી એક નાની ખિસકોલીને જોઈ,
તે ભીની રેતીમાં લપસી રહી હતી,
અને પછી તે રેતીને બાંધકામ હેઠળના પુલ પર ઠાલવી રહી હતી.
આ કામ તે વારંવાર કરી રહી હતી.
જ્યારે તેને પૂછ્યું કે, “તું ખરેખર શું કરી રહી છો?”
તો, ખિસકોલીએ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કહ્યું,
“હું પણ મારું યોગદાન આપી રહી છું.”
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે આટલા મોટા પથ્થરો સામે તેના નાના દાણાથી શું ફરક પડશે?”,
ખિસકોલીએ જવાબ આપ્યો-
“મહત્વનું એ નથી કે મારા રેતીના દાણાથી ખરેખર કેટલો ફરક પડે છે;
પણ જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે એવું નહી લખી શકાય કે મેં મારું યોગદાન આપ્યું નથી એ મહત્વનું હશે.
દોસ્તો,
આવી જ ભાવના આપણા દરેકમાં રહેવી જોઈએ.
આપનું યોગદાન નાનું છે કે મોટું, તેનાથી કોઈ ફરક પડતો નથી;
આપે કોઈ યોગદાન આપ્યું છે કે નહીં તે મહત્વનું છે.
આપણે જ્યારે કામ પર આવીએ છીએ, ત્યારે આપણે તેને ફક્ત એક કાર્ય તરીકે ન જોવું જોઈએ.
આપણે જે પણ કાર્ય હાથમાં લઇએ છીએ તે આપણા રાષ્ટ્રના વિકાસ સાથે અવિભાજ્ય રીતે જોડાયેલું છે.
આપણે જ્યારે કોઈ પ્રોજેક્ટ પૂર્ણ કરીએ છીએ, ત્યારે
આપણે માત્ર એક કાર્ય પૂર્ણ કરી રહ્યા નથી; આપણે આપણા દેશના ભવિષ્યને આકાર આપી રહ્યા છીએ.
આ ખ્યાલને ખરેખર સમજવા માટે, મુન્દ્રાને જુઓ.
એક સમય હતો જ્યારે મુંદ્રામાં ફક્ત રેતી અને ઉજ્જડ જમીન સિવાય કંઈ નહોતું.
આજે, આ જ મુન્દ્રા ભારતના સૌથી મોટા બંદર તરીકે ઉભરી આવ્યું છે –
દેશના વેપારને વેગ આપી રહ્યું છે અને ભારતને બાકીના વિશ્વ સાથે જોડશે.
એ જ રીતે, કેરળમમાં વિઝિંજમ બંદર વૈશ્વિક દરિયાઈ નકશા પર ભારત માટે એક નવી ઓળખ બનાવશે અને આપણને એક મજબૂત ટ્રાન્સશિપમેન્ટ હબ બનવાની દીશામાં આગળ ધપાવશે.
અને હવે કચ્છમાં ખાવડા –
જ્યાં હાલમાં આપણે વિશ્વના સૌથી મોટા ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સમાંના એકનું નિર્માણ કરી રહ્યા છીએ
ખાવડા આવનારી પેઢીઓ માટે સલામત અને સ્વચ્છ ભવિષ્યનો પાયો નાખી રહ્યું છે.
અને હવે, નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક – આ માત્ર એક વિમાનમથક નથી.
વિશ્વના શ્રેષ્ઠ વિમાનમથકોમાંનું એક અને આપણા રાષ્ટ્રનું ગૌરવ છે –
તે ભારતની ઉડ્ડયન ક્ષમતાઓમાં એક નવું પરિમાણ ઉમેરશે,
કનેક્ટિવિટી વધારશે અને લાખો લોકો માટે નવી તકોના દરવાજા ખોલશે.
આ ફક્ત એક વિમાનમથક નહી – પણ તે ભારતની વધતી જતી શક્તિ અને સંભાવનાનું પ્રતીક છે.
આ જ ક્રમમાં, આપ સહુ જાણો છો એમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં એક ઐતિહાસિક પ્રોજેક્ટ – ગંગા એક્સપ્રેસવેનું લોકાર્પણ કર્યું.
આ એક્સપ્રેસવે એ માત્ર ૧૨ જિલ્લાઓ અને ૫૦૦ થી વધુ ગામડાઓને જોડતો રસ્તો નથી; બલ્કે – મા ગંગાના પવિત્ર પ્રવાહોની જેમ – લોકોના જીવનને જોડતા એક શક્તિશાળી માધ્યમ તરીકે સેવા આપે છે.
જેવી રીતે મા ગંગાએ સદીઓથી આપણી શ્રદ્ધા અને સંસ્કૃતિનું પોષણ કર્યું છે, તે જ રીતે વિકાસના નવા વાહક તરીકે ઉભરી રહેલો આ એક્સપ્રેસવે પણ આઠ કરોડથી વધુ લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવશે.
મેરઠથી પ્રયાગરાજ સુધીની યાત્રા – જે પહેલા ૧૦-૧૧ કલાક લેતી હતી તે હવે ફક્ત ૫-૬ કલાકમાં સંપ્પન થશે.
ગંગા એક્સપ્રેસવેની માળખાકીય અખંડિત બાંધણી એવી છે કે, જરૂર પડ્યે, ફાઇટર જેટ પણ તેના પર ઉતરી શકે છે. તે નવા ભારતની શક્તિ અને પ્રચંડ આત્મવિશ્વાસનું પ્રતીક છે.
મા ગંગા આપણી આસ્થા છે, અને ગંગા એક્સપ્રેસવે – આસ્થાને વિકાસ સાથે જોડતો એક મજબૂત સેતુ છે – તે ફક્ત ઉત્તર પ્રદેશની જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રની પ્રગતિને નવી ગતિ આપશે.
પરંતુ મિત્રો,
અદાણી ગ્રુપે બીજી પણ પ્રતિજ્ઞા લીધી છે – જે કદાચ મારા જીવનના સૌથી પડકારજનક કાર્યોમાંની એક અને મારા દીલની સૌથી નજીક છે.
એ છે ધારાવીનો પુનર્વિકાસ.
આ માત્ર એક પ્રકલ્પ નથી;
કદાચ તે, માનવ જીવનમાં પરિવર્તનનો વિશ્વનો સૌથી મોટો અને સૌથી પડકારજનક પ્રયાસ છે.
આ જવાબદારી મેં સંપૂર્ણ સમજણ સાથે લીધી છે –
તે વિશાળ પડકારોથી ભરેલી છે.
જોકે, અમે આ નિર્ણય નફા ખાતર લીધો નથી.
અમે આ જવાબદારી સ્વીકારી છે
કારણ કે, ધારાવી એક અર્થમાં તો,
આપણી સામૂહિક નિષ્ફળતાના પ્રતીક તરીકે ઊભું રહ્યું છે.
ત્યાં વસતા લોકોની સખત મહેનત,
આગળ વધવાની તેમની તમન્ના,
સંઘર્ષનો સામનો કરતી વેળા તેમની સ્થિતિસ્થાપકતા –
હંમેશા પ્રેરણાનો સ્ત્રોત રહી છે.
છતાં, આપણે તેમને એવું જીવન પૂરું પાડી શક્યા નથી
કે જે ખરેખર તેના માટે લાયક છે.
હું આ પરિસ્થિતિ બદલવા માંગુ છું.
તેથી જ મેં ધારાવીનો પડકાર સ્વીકાર્યો.
મેં ઉલ્લેખ કરેલા આ બધા પ્રોજેક્ટ્સ – જે અદાણી ગ્રુપ દ્વારા ગૌરવ અને સંતોષ સાથે હાથ ધરવામાં આવ્યા છે જે રાષ્ટ્ર નિર્માણમાં નમ્ર યોગદાન દર્શાવે છે.
અને આપ સહુ આ સિદ્ધિનો સાચો પાયો છો.
આ પ્રયાસમાં તમારી મહેનત અને સમર્પણને હું સલામ કરું છું.
અને હું આપ તમામને વંદન કરું છું.
એક સમય હતો જ્યારે હું માત્ર ૨૦ લોકોની ટીમ સાથે મુન્દ્રા જવા નીકળ્યો હતો.
અમે સવારે ૪:૦૦ વાગ્યે અમદાવાદથી નીકળીને મુન્દ્રા પહોંચતા,
અને બાદ કામનું નિરીક્ષણ કરવા માટે આખું અઠવાડિયું ત્યાં રોકાતા.
તે સમયે, સાઇટ પર ફક્ત ૩૦૦ થી ૪૦૦ લોકો જ હતા.
હું લગભગ દરેક સાથીદારને વ્યક્તિગત રીતે નામથી, તેમની ચોક્કસ ભૂમિકાથી અને તેમના સ્વભાવથી પણ જાણતો હતો –
મને બરાબર ખબર હતી કે દરેક વ્યક્તિ ક્યાંથી આવે છે અને કયા કામમાં તેઓ શ્રેષ્ઠ છે.
આજે દરરોજ ૪ લાખથી વધુ લોકો અદાણી ગ્રુપ સાથે કામ કરે છે.
આ જોઈને મને ગૌરવ અને આનંદ થાય છે,
પરંતુ એક વિચાર હંમેશા મારા મનમાં ઘુમરાતો રહે છે જે એ છે કે મારા શ્રેષ્ઠ અને સંનિષ્ઠ ઇરાદો હોવા છતાં,
હું હવે દરેક સાથીનું નામ યાદ રાખી શકતો નથી.
અલબત્ત, હું મારા અંતકરણથી આપની સાથે કંઈક વહેંચવા ઇચ્છુ છું
ભલે હું દરેકના નામ યાદ ન રાખી શકું,
મારા હૃદયમાં આપની સાથેનું જે બંધન છે તે હું શેર કરું છું તે આજે પણ ભૂતકાળની ભવ્યતાની જેમ જ મજબૂત છે.
સંસ્થાનું કલેવર બદલાયું છે, પરંતુ તેના મૂળ મૂલ્યો એ જ રહ્યા છે.
અદાણી ગ્રુપ ફક્ત રોજગારનું સ્થળ નહી, પરંતુ એક પ્લેટફોર્મ બને એવું મારું વિઝન હંમેશા રહ્યું છે.
જ્યાં એક મહેનતુ વ્યક્તિ, પગલું ભરી પગલું આગળ વધી શકે;
જ્યાં કોઈ નમ્ર શરૂઆતથી શરૂ કરીને પણ કોઈ દિવસ નેતૃત્વના શિખરે પહોંચી શકે.
જ્યારે અમે પહેલી વાર મુન્દ્રામાં અમારી સફરનો આરંભ કર્યો ત્યારે
મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ બંદરીય નગરની કથા આટલી વિરાટ થશે.
આવી પળોમાં, મને હંમેશા આ પંક્તિઓ યાદ આવે છે:
“મૈં અકેલા હી ચલા થા જાનિબ-એ-મઝીલ મગર, લોગ સાથ આતે ગયે ઔર કારવાં બનતા ગયા”
આજે, આ વાર્તામાં ચાર લાખથી વધુ સભ્યોનો સમુદાય શામેલ છે.
અમારા પહેલા ૩૫ વર્ષમાં, અમે સામૂહિક રીતે આશરે રુ.૨ લાખ કરોડની સંપત્તિનું સર્જન કર્યું છે.
અને આજે, આપણી સ્થિતિ એ તબક્કે પહોંચી છે કે આ એક જ વર્ષમાં આપણે નવી સંપત્તિમાં રુ.૨ લાખ કરોડ ઉમેરવા જઈ રહ્યા છીએ.
આ માત્ર એક આંકડો નથી –
તે આપના બધાના પરિશ્રમની ફલશ્રુતિ છે.
છેલ્લા કેટલાક મહિનાઓમાં મેં વિવિધ સ્થળોની મુલાકાત લીધી છે.
મેં વિમાન, હેલિકોપ્ટર અને રસ્તા માફરત એક લાખ કિલોમીટરથી વધુ મુસાફરી કરી છે.
હું હજારો સાથીદારોને મળ્યો છું.
આ મુલાકાતો બાદ મારા મનમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે:
જો આપણે આપણી ગતિ જાળવી રાખવી હોય અને મજબૂત ભવિષ્યનું નિર્માણ કરવું હોય, તો આપણે ચોક્કસ મૂળભૂત બાબતો પર દૃઢ નિશ્ચય સાથે આગળ વધવું જોઈએ.
આ અનુભવોના આધારે, અમે ત્રણ મુખ્ય પરિવર્તનો, ત્રણ સ્તંભો પર કામ શરૂ કર્યું છે.
પહેલો સ્તંભ ત્રિ-સ્તરીય મોડેલ છે.
જેમ જેમ સંસ્થાઓ મોટી થાય છે, તેમ તેમ નિર્ણયો ધીમા પડતા જાય છે,
અને વસ્તુઓને એકથી બીજા સ્તરે પહોંચવા માટે વધુ સમય લાગે છે.
અમે નથી ઇચ્છતા કે આવું થાય.
ત્રિ-સ્તરીય મોડેલનો હેતુ સંસ્થાને સપાટ કરવાનો છે જેથી જવાબદારી સ્પષ્ટ થાય અને નિર્ણયો ઝડપથી લઈ શકાય.
જ્યારે સ્તર ઘટાડવામાં આવે છે,
ત્યારે નિર્ણયો ઝડપી લેવામાં આવે છે,
કામની ગતિ વધે છે,
અને સમગ્ર સંસ્થા નવી ઉર્જાથી ભરેલી હોય છે.
આજની દુનિયામાં, તફાવત ફક્ત ક્ષમતાનો નહી, પરંતુ
ઝડપનો છે.
અમે ઇચ્છીએ છીએ કે હાલ જે નિર્ણયો ત્રણ દિવસમાં લેવામાં આવે છે તે ફક્ત ત્રણ કલાકમાં લેવામાં આવે.
અને આનો બીજો મોટો લાભ એ છે કે –
જ્યારે કોઈ સંસ્થાનું માળખું સપાટ હોય છે, ત્યારે યુવા ટીમના સભ્યોને ખૂબ વહેલી તકો મળે છે.
આપણી પાસે ઘણા યુવાન ઇજનેરો, સુપરવાઇઝર અને મેનેજર છે.
તેઓ ઉર્જાવાન અને નવા વિચારોથી સભર હોય છે.
તેમને ઝડપથી શીખવા, ઝડપથી આગળ વધવા અને વધુ જવાબદારી લેવા તકો પૂરી પાડવાની જવાબદારી આપણી છે –
બીજો આધારસ્તંભ ભાગીદારી મોડેલ છે!
આજે, અદાણી ગ્રુપની સાચી તાકાત અમારા કર્મચારીઓ અને અમારા ભાગીદારો બંનેમાં રહેલી છે –
બંને એકબીજાના પૂરક છે;
બંને એક બીજા વિના અધૂરા છે.
અમારા કર્મચારીઓ કાર્યને દિશા સૂચવે છે,
જ્યારે જમીન પર અમારા ભાગીદારો – કોન્ટ્રાક્ટરો, સપ્લાયર્સ અને વિક્રેતાઓ કાર્યનું સંચાલન કરી તેને ગતિ આપે છે.
જોકે, જેમ જેમ અમે અમારી કામગીરી વિસ્તારી છે તેમ તેમ એક પડકાર ઉભરી આવ્યો છે.
આજે, અમારી ઘણી સાઇટ્સ પર એકસોથી વધુ કોન્ટ્રાક્ટરો એક સાથે કામ કરી રહ્યા છે.
આટલા બધા લોકોનું સંકલન કરવા માટે એક અલગ સંગઠનાત્મક માળખાની જરૂર પડે છે. જેમાં સમય લાગે છે, વધારાના સ્તર બને છે અને નિર્ણય લેવાની પ્રક્રિયા વિલંબિત થાય છે.
અમે આમાં ફેરફાર કરવાનો ઇરાદો ધરાવીએ છીએ.
અમારો પ્રયાસ મજબૂત અને વિશ્વસનીય ભાગીદારોના પસંદ કરેલા સમૂહ સાથે કામ કરવાનો છે.
જેઓ સમગ્ર કાર્યની જવાબદારી લઈને તેને વધુ સારી રીતે, ઝડપથી અને અસરકારક રીતે પૂર્ણ કરી શકે છે.
આ બાબત સંકલનને સરળ બનાવશે, સ્તર ઘટાડશે, જવાબદારી સ્પષ્ટ કરી કાર્યની ગતિનું વિતરણ કરશે.
પરંતુ ભાગીદારી મોડેલ ફક્ત માળખું બદલવા વિશે નથી.
આ માનસિકતામાં અને આ સંસ્કૃતિમાં પરિવર્તન છે.
આરંભથી અંત સુધી અમારા ભાગીદારોની સાથે ઊભા રહેવાની અમારી પ્રતિબદ્ધતા છે.
તેમની સફળતા સુનિશ્ચિત કરવી એ અમારી જવાબદારી છે.
મને અમારા એક ભાગીદાર, હધુભાઈ રબારીની વાત યાદ આવે છે.
તેઓ અમારા પ્લાન્ટની નજીક આવેલા વોંધ ગામના છે.
પહેલાં, તેમના પરિવાર અને ખરેખર તો આખા ગામના પૂર્વજોનો વ્યવસાય ઊંટો ચરાવવા અને દૂધ વેચવાનો હતો.
વર્ષ-૨૦૦૮ આસપાસ જ્યારે આપણા અદાણી પાવર પ્લાન્ટનું બાંધકામ ચાલી રહ્યું હતું, ત્યારે ગામલોકોની માનસિકતા પ્લાન્ટની આસપાસ ફક્ત નાના પાયે નોકરીઓ કરવા સુધી મર્યાદિત હતી.
પરંતુ ૨૦૧૬માં આપણા સૌર પ્રોજેક્ટ દરમિયાન, હધુભાઈએ એક પગલું આગળ વધાર્યું. અમે તેમને પાણી પુરવઠાનો કોન્ટ્રાક્ટ આપ્યો. શરૂઆત કરવા માટે તેમણે લોન લીધી અને એક જૂનું પાણીનું ટેન્કર ખરીદ્યું. ધીમે ધીમે, તેમણે તેમના કામમાં નિપુણતા મેળવી, સમયસર કામ પૂર્ણ કર્યું, અને વિશ્વસનીયતા માટે પ્રતિષ્ઠા બનાવી. સમય જતાં, તેમણે તેમના કાર્યોનો વિસ્તાર કર્યો.આજે તેમની ખુદની કંપની એક મજબૂત વ્યવસાયિક સાહસમાં વિકસિત થઈ છે. આજે તેઓ અનેક હાઇડ્રો મશીનો, મોટી ક્રેન્સ અને અન્ય વિવિધ સાધનોના માલિક છે. આજે, તેઓ મોટા પ્રોજેક્ટ્સની જવાબદારી સંભાળે છે. જો કે, મારા માટે તે સૌથી મહત્વનું પાસું નથી. સૌથી મહત્વનું પાસું એ છે કે તેમની સફળતાની સફરે આખા ગામની માનસિકતા બદલી નાખી.
આજે તે જ ગામના અનેક લોકો અદાણી ગ્રુપ સાથે કામ કરવાની નવી લાઇનમાં પ્રવેશ કરી રહ્યા છે.
અને હધુભાઈ એકલા નથી;
ઘણી એવી અન્ય વ્યક્તિઓની સાફલ્ય ગાથાઓ છે જેમણે આપણી સાથે કામ કરતી વખતે પોતાનામાં પડેલી ઉદ્યોગસાહસિકતા શોધી કાઢીને પોતાના વ્યવસાયોનો વિસ્તાર કર્યો અને એક નવી ઓળખ બનાવી.
અમારા ભાગીદારી મોડેલનું આ મુખ્ય લક્ષ્ય છે.
અમે ફક્ત પ્રકલ્પો પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખતા નથી; અમારું લક્ષ્ય લોકોને આગળ વધવા માટે સશક્ત અને સક્ષમ બનાવવાનું છે.
આ મોડેલ દ્વારા, અમે સમગ્ર ઇકોસિસ્ટમમાં ઉદ્યોગસાહસિકતાની ભાવનાનો સંચાર કરવાનો પ્રયાસ કરીએ છીએ.
એવા સેંકડો વ્યક્તિઓને કેળવીએ છીએ જે ફક્ત પોતાની કારકિર્દીમાં જ આગળ વધશે નહીં પરંતુ અન્ય લોકોને પણ ઉત્તેજન આપશે.
ત્રીજો સ્તંભ છે – શીખવું અને વિકાસ.
જો આપણે આપણા કાર્યમાં ગતિ જાળવી રાખવી હોય, અને આપણે સ્થાયી ભાગીદારી કરવી હોય, તો આપણા લોકો શીખતા રહે તે મહત્વનું છે.
દરેક વ્યક્તિ માટે આગળ વધવા અને પ્રગતિ કરવા માટે એક સ્પષ્ટ અને વ્યાખ્યાયિત માર્ગ હોય તેની અમે ખાતરી કરવા ઇચ્છીએ છીએ.
જો કોઈ અકુશળ હોય, તો તેણે અર્ધ-કુશળ બનવું જોઈએ; અર્ધ-કુશળમાંથી, તેણે કુશળ બનવું જોઈએ;
અને છેવટે, તેણે સુપરવાઇઝર, મેનેજર અથવા સુકાની બનવું જોઈએ.
જો આપણે કામને વેગ આપવા, મજબૂત ભાગીદારી બનાવવા માંગતા હોઈએ તો પછી ભલે કોઈ ફિટર હોય, ક્રેન ઓપરેટર હોય, ટેકનિશિયન હોય કે કોઈ પણ સાઇટ પર કામ કરતો સાથી હોય, દરેકને વિકાસ કરવાની તક મળવી જોઈએ.
મને સુબ્બુની વાત યાદ આવે છે.
સુબ્બુએ હજીરા બંદર પર મજૂર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
જોકે, તેમને હંમેશા શીખવાની અતૃપ્ત ઇચ્છા હતી.
તેમણે નાના સૂચનો આપીને શરૂઆત કરી, પછી તાલીમ લીધી, નવી તકનીકોમાં નિપુણતા મેળવી, અને ધીમે ધીમે તેમના કાર્યને સતત સુધારતા રહ્યા.
શ્રમિક તરીકે શરૂઆત કરીને, સુપરવાઈઝર બન્યા, પછી ઇનોવેશન મેનેજર બન્યા,
અને આજે, કોર્પોરેટ ઓફિસમાં તેમની કુશળતાનું યોગદાન આપી રહ્યા છે.
પરંતુ હું એક વાત સ્પષ્ટપણે કહેવા ઇચ્છું છું. સુબ્બુ ફક્ત એક વ્યક્તિ નથી; સુબ્બુ એક માનસિકતાનું પ્રતિનિધિત્વ કરે છે.
“હું પણ સુબ્બુ બની શકું છું.”આપનામાંથી દરેક વ્યક્તિ આ વિચારે તેવું હું ઇચ્છું છું
આપ દરેકમાં તે જ ક્ષમતા રહેલી છે.
એટલા માટે જ અમે અદાણી ટ્રેનિંગ એકેડેમીની સ્થાપના કરી રહ્યા છીએ, જ્યાં દરેક વ્યક્તિ માટે શીખવાની અને તેમની કુશળતા વધારવાની વ્યવસ્થા હશે.
અને ટેકનોલોજીના માધ્યમથી પણ, અમે ખાતરી કરીશું કે દરેક સાથીદારને શીખવાની અને આગળ વધવાની તક મળે – ભલે તેઓ જ્યાં કામ કરી રહ્યા હોય.
સાથીઓ,
આ ત્રણ ફેરફારો – ત્રિ-સ્તરીય મોડેલ, ભાગીદારી મોડેલ, અને શિક્ષણ અને વિકાસ –
તેઓનું અલગ અલગ અસ્તિત્વ નથી; તેઓ એકબીજા વિના અધૂરા છે. તેથી, આ ત્રણેયને અમલમાં મૂકવા આવશ્યક છે. તેમને ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ તરીકે વિચારો. આ બધી ત્રણ અલગ અલગ નદીઓ છે જ્યારે તેઓ સંગમ પર મળે છે ત્યારે જ તેમનું મહત્વ અને શક્તિ ખરેખર નિખરે છે.
સહયોગી સાથીઓ,
આ ત્રણ પરિવર્તનશીલ ફેરફારોની સાથે કેટલાક મૂળભૂત સિદ્ધાંતો છે
જેમાં આપણે હંમેશા માનતા આવ્યા છીએ, અને જેના પર – આપણે સમાન સમર્પણ સાથે કામ કરતા રહીશું. તમે આ પાંચ તત્વોને આપણા સંગઠનના પંચતત્વ કહી શકો છો.જેમ પ્રકૃતિ પાંચ તત્વોથી બનેલી છે, તેમ એક મજબૂત સંગઠન પણ કેટલાક મૂળભૂત તત્વો પર આધારિત હોય છે.
પહેલું તત્વ સ્થાનિક લોકોને પ્રાથમિકતા આપવાનું છે. અમારું માનવું છે કે આપણે જ્યાં પણ કામ કરીએ છીએ, એ જમીન, લોકો અને તે સ્થળના સપના આપણી સાથે વધવા જોઈએ.તેથી, અમે પહેલા સ્થાનિક વિસ્તારના લોકોને, પછી રાજ્યની અંદરથી, અને તે પછી જ બહારથી તકો પૂરી પાડવાનો પ્રયાસ કરીએ છીએ.
અને—ચોક્કસ ખાસ પરિસ્થિતિઓમાં, જ્યાં આપણે સ્થાનિક રીતે લોકોને શોધી શકતા નથી, તે માટે અમારા ભાગીદારો તેમને કેવી રીતે અને ક્યાંથી લાવવા તે જાણવા માટે વધુ સારી રીતે સજ્જ છે.
બીજું તત્વ મજબૂત કૌશલ્ય અને તાલીમ છે.
દુનિયા અને કાર્યનું સ્વરૂપ બંને બદલાઈ રહ્યા છે. આગળ રહેવા માટે, લોકોને સતત શીખવાની તકો પૂરી પાડવી જરૂરી છે. તેથી જ આપણે તાલીમ કાર્યક્રમો અને અદાણી કૌશલ્ય કેન્દ્રો જેવી પહેલો હાથ ધરી રહ્યા છીએ.
ત્રીજું તત્વ સ્પષ્ટ કારકિર્દી પ્રગતિ છે.
અમારું એક કેડર બનાવવાનું લક્ષ્ય છે જ્યાં વ્યક્તિઓ નાની ઉંમરે જોડાય, શીખવાનું ચાલુ રાખે અને આ જ સંસ્થામાં વિકાસ કરે.
અકુશળથી અર્ધ-કુશળ, કુશળ, સુપરવાઇઝર, મેનેજર અને નેતૃત્વ સુધી – એક સ્પષ્ટ સફર હોવી જોઈએ.
હું ઈચ્છું છું કે ખૂબ જ ટૂંક સમયમાં એવો સમય આવે જ્યારે અદાણી ગ્રુપમાં લેટરલ ભરતી સંપૂર્ણપણે બંધ થઈ જાય, અને આપણે ફક્ત સ્વદેશી પ્રતિભા પર આધાર રાખીએ.
ફક્ત કારકિર્દીનો આ માર્ગ નથી; તે સંપૂર્ણ વિશ્વાસની સફર છે.
ચોથું તત્વ વાજબી અને સ્પર્ધાત્મક પગાર છે.
કઠિન મહેનતનો આદર કરવો જોઈએ. વળતર વાજબી હોવું જોઈએ, અને તે સમયસર ચૂકવવું જોઈએ.
ટીમનાદરેક સભ્યને આ ખાતરી હોવી જોઈએ કે તેની મહેનત, તેનું સમર્પણ અને તેમના યોગદાનને યોગ્ય આદર મળી રહ્યો છે.
પાંચમું તત્વ છે—ગૌરવ સાથે જીવન.
આપણા ઘણા સાથીદારો દૂરસ્થ, પડકારજનક સ્થળોએ કામ કરે છે.
એક દિવસની સખત મહેનત પછી, તેમને રહેવા માટે સ્વચ્છ સ્થળ, પૌષ્ટિક ખોરાક
અને સુરક્ષિત વાતાવરણ મળવું જોઈએ. આ કોઈ વિશેષાધિકાર નથી; તે એક આવશ્યકતા છે. તે દરેક કાર્યરત વ્યક્તિનો અધિકાર છે.
તેથી, અમે મુન્દ્રા અને ખાવડામાં ૫૦,૦૦૦ સાથીદારો માટે એર-કન્ડિશન્ડ રહેઠાણ બનાવી રહ્યા છીએ, અને અમે અમારી ટીમ માટે મુન્દ્રામાં એક વિશાળ ક્લાઉડ કિચન બનાવી રહ્યા છીએ, એક એવી સુવિધા જે દરરોજ એક લાખ સર્વિંગ સ્વચ્છ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પૂરું પાડશે.
મારા પ્રિય સાથીઓ,
જેમ પાંડવોની સંખ્યા પાંચ હતી,
અને દરેક પાસે પોતાની આગવી શક્તિ હતી,
યુધિષ્ઠિર પાસે સત્ય અને ધીરજ હતી, ભીમ પાસે શક્તિ હતી,અર્જુન પાસે કૌશલ્ય હતું
અને નકુલ અને સહદેવ પાસે સંતુલન અને શાણપણ હતું.
અલબત્ત, તેમની સાચી શક્તિ તેમની એકતામાં, એકસાથે ઊભા રહેવામાં રહેલી હતી;
એ જ રીતે,
જ્યારે આ પાંચ તત્વો એક સાથે આવે છે ત્યારે જ તેઓ એક મજબૂત, સંવેદનશીલ અને આગળ વધતી સંસ્થા બનાવે છે.
સાથીઓ,
અમારા પ્રત્યેક સ્થળો એક ‘મિનિ-ભારત’ છે. દેશના વિવિધ ભાગોમાંથી આવતા વિવિધ ભાષાઓ, સંસ્કૃતિઓ અને પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો હોવા છતાં બધા એક સાથે મળીને કામ કરે છે.
કેટલાક ઉત્તર પ્રદેશના છે, કેટલાક પશ્ચિમ બંગાળના છે,
કેટલાક બિહારના છે, કેટલાક કેરલમના છે, કેટલાક ઓડિશાના છે, તો કેટલાક ગુજરાતના છે પરંતુ જ્યારે તેઓ સાઇટ પર હોય છે, ત્યારે તેઓ ફક્ત એક જ ઓળખ શેર કરે છે અને તે આપણે બધા અદાણી ગ્રુપના સાથીઓ છીએ, અને આપણે બધા ભારતીય છીએ અને જ્યારે લાખો લોકો આ ભાવના સાથે કામ કરે છે ત્યારે આપણે ફક્ત પ્રકલ્પ બનાવતા નથી, આપણે રાષ્ટ્રનું નિર્માણ કરીએ છીએ.
તેથી, હું માનું છું કે આપ્ ફક્ત શ્રમિક નથી. તમે ફક્ત કર્મચારીઓ નથી. તમે ફક્ત અધિકારીઓ નથી. તમે રાષ્ટ્રનિર્માતાઓ છો. આવો, આ મજૂર દિને એ પ્રતિજ્ઞા લઈએ,
કે આપણે આપણા કાર્યને ફકત નોકરી તરીકે નહીં, પણ રાષ્ટ્રનિર્માણમાં યોગદાન તરીકે જોઈશું.
આ આપણી સફર છે, આ આપણો સંકલ્પ છે અને આ આપણું ભવિષ્ય છે.
જય હિન્દ- જય ભારત!


