સુરત નજીક કામરેજના ખોલવડ ગામે આવેલી કરોડોની કિંમતની જમીન બે વખત વેંચી કૌભાંડ કરનારા બે બિલ્ડરો સામે મૂળ જમીન માલિક ઉપરાંત પ્લોટ ખરીદનારા સંખ્યાબંધ લોકોએ કામરેજ પોલીસને અરજી આપ્યા પછી પણ પોલીસે કોઈ ઠોસ કાર્યવાહી કરી ન હતી. બીજી બાજુ જમીનની એન્ટ્રી પડાવવા માટેના પ્રયાસો કૌભાંડકારીઓએ શરૂ કર્યા હતા. જેમાં નાયબ કલેક્ટરે એન્ટ્રી રદ કરી દીધી હતી. પરિણામે કૌભાંડકારીઓએ ખોટું કર્યું હોવાનું ફલિત થયું હોવા છતાં કોઈ અકળ કારણોસર કામરેજ પોલીસ ગુનો નોંધવાનું નામ લેતી નથી. જેથી ભોગ બનનારાઓમાં પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી રહી છે. આવી સ્થિતિમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ મસમોટા કૌભાંડ સંદર્ભે તાત્કાલિક અસરથી ગુનો નોંધાય તે માટે પ્રયત્નશીલ બને તે જરૂરી છે.
ખોલવડમાં આવેલી જમીન નાગજી પટેલે અમદાવાદના સત્ય સંકલ્પ બિલ્ડકોનના ઉમંગ હરિ ઠક્કરને વેચી હતી. જેના રૂ. 60 કરોડ લેણા નીકળતા હતા. આ નાણાં ઉમંગ હરિ ઠક્કર સમયસર ચૂકવી ન શકતા નાગજી પટેલે જમીન પરત ખરીદી લીધી હતી અને કિંમત ફેરની રકમ ચેકથી ચૂકવી આપી હતી. આમ છતાં ઉમંગ ઠક્કરે આ જમીન અમદાવાદના શાલિભદ્ર ઇન્ફ્રાકોમના પંકજ મિશ્રિમલ સંઘવીને વેચી મારી હતી. આ ઘટનાની જાણ નાગજી પટેલને થતાં તેમણે કાનૂની જંગના મંડાણ કર્યા હતા.
એક જ જમીન બે વખત વેચી મારનારા ઉમંગ ઠક્કર અને વિવાદિત જમીન ખરીદનારા પંકજ સંઘવી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવાની અરજી કામરેજ પોલીસમાં લાંબા સમય પૂર્વે આપી હતી. પોલીસની તપાસ મંથર ગતિએ ચાલી રહી હોવાથી કોઈ નક્કર પરિણામ આવ્યું નહીં. એ સમયગાળા દરમિયાન એક મહિના પૂર્વે કામરેજના નાયબ કલેક્ટર તરફથી ઉમંગ ઠક્કર અને પંકજ સંઘવીને લપડાક આપવામાં આવી હતી. કારણ કે આ બન્નેએ એન્ટ્રીની નોંધ કરાવવાની કાર્યવાહી કરી હતી. જે નાયાબ કલેક્ટરે રદ કરી નાખી હતી. નાયાબ કલેક્ટર કક્ષાના અધિકારીએ એન્ટ્રી રદ કરી તેનો સીધો અર્થ એ છે કે બન્ને બિલ્ડરોએ સાથે મળી કાંઈક ખોટું કર્યું હશે. આટલી સ્પષ્ટતા કાગળ ઉપર થઈ ગઈ હોવા છતાં કોઈ અકળ કારણોસર કામરેજ પોલીસ ગુનો નોંધવાની તસ્દી લેતી નથી.
ફ્લેટનાં નાણાં લીધા બાદ ટ્રસ્ટની રસીદ આપી
આ કિસ્સામાં ખુલ્લી જમીન પર સ્વામીનારાયણ ગ્રિન સિટી નામે સોસાયટી ઊભી કરી ફ્લેટનું વેચાણ શરૂ કર્યું હતું. જેમાં ફ્લેટ ખરીદનારાઓ પાસેથી નાણાં લઈ તેના બદલામાં શ્રીમતી રીટાબેન ઉમંગભાઈ ઠક્કર ચેરિટેબલ ટ્રસ્ટની રશિદ આપવામાં આવી હતી. જેમાં રૂ. 4 લાખ લીધા હોય તેમને રૂ. 400ની રશિદ આપવામાં આવતી હતી. આ મુદ્દે પણ પોલીસ તપાસ કરે તો ટ્રસ્ટના નામે ગોબાચારીનો પર્દાફાશ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
બેંક સાથે છેતરપિંડી, જીએસટીનો પણ કેસ
ઉમંગ ઠક્કર સામે બેંક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ પણ નોંધાઈ હોવાનું કહેવાય છે. એટલું જ નહીં પણ અમદાવાદમાં ઉમંગ ઠક્કરની માલિકીની નીલકંઠ ગ્રુપ સંચાલિત પતંગ હોટલ છે. જેનું જીએસટી રજિસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.


