ગુજરાતના દાહોદ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે સાબિત કરી દીધું છે કે 21મી સદીના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાના મૂળ કેટલા ઊંડા છે. અહીં ત્રણ મહિના પહેલા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેનાર મૃતકના પરિવારજનો તેની આત્માને ઘરે લઇ જવા હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેમણે તાંત્રિક દ્વારા વિધિ મુજબ પૂજા કરાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ મહિના પહેલા એક વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થતાં તેને દાહોદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતકના પરિવારજનો, જેઓ મધ્યપ્રદેશના રહેવાસી છે, માને છે કે મૃતકની આત્મા હજી પણ હોસ્પિટલમાં ભટકતી હોય છે.
આ માન્યતાને કારણે તેઓ રવિવારે દાહોદની આ જ ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને પોતાની સાથે એક તાંત્રિકને પણ લઈ આવ્યા હતા. તાંત્રિકે હોસ્પિટલ પરિસરમાં પૂજા અને તાંત્રિક વિધિ કરી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, તેણે સફેદ કપડા પહેર્યા હતા અને પૂજા પછી ડાન્સ કરવાનું શરૂ કર્યું હતું. તેણે દાવો કર્યો કે મૃતકની આત્મા હવે શાંત થઈ ગઈ છે અને તે તેને પોતાની સાથે લઈ જઈ રહ્યો છે.
આ સમગ્ર ઘટના હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓની સામે બની હતી, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં હોબાળો મચી ગયો હતો. ઘણા લોકો આ અંધશ્રદ્ધા પર આશ્ચર્ય અને ગુસ્સો બંને વ્યક્ત કરી રહ્યા છે. મૃતકના પુત્ર લોકેન્દ્ર ગામડે કહ્યું, ‘અમારા પરિવારે તાંત્રિકને બોલાવ્યો હતો જેથી પિતાની આત્માને શાંતિ મળે. હવે અમે તેને ઘરે લઈ જઈ રહ્યા છીએ જેથી યોગ્ય સંસ્કાર થઈ શકે.
સ્થાનિક લોકોએ આ ઘટનાને અંધશ્રદ્ધાનું ઉદાહરણ ગણાવી જણાવ્યું હતું કે વિજ્ઞાન અને શિક્ષણના આ યુગમાં પણ લોકો અંધશ્રદ્ધામાં માને છે, આ બાબત સમાજ માટે ચિંતાજનક છે. હાલમાં આ ઘટના અંગે પ્રશાસને કોઈ ઔપચારિક કાર્યવાહી કરી નથી, પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


