ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકે કોકરોચ જનતા પાર્ટી (CJP) સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને પોતાનું સમર્થન આપ્યું છે. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને ભૂખ હડતાળના 20મા દિવસે જંતર મંતર પરથી બળજબરીથી હટાવવાના વિરોધમાં કવિતાએ પ્રતિક્રિયા આપી છે. એક્ટ્રેસે ઇન્સ્ટા પર એક વીડિયો શેર કરીને દિલ્હી પોલીસને સંયમ અને માનવતા બતાવવાની અપીલ કરી છે.
કવિતા કૌશિકનો ફૂંટ્યો ગુસ્સો
કવિતાએ કહ્યું કે જે લોકો શાંતિપૂર્વક પોતાની વાત રજૂ કરી રહ્યા છે, તેઓ દેશના નાગરિકો છે. તેમની સાથે સન્માન અને ગૌરવપૂર્વક વર્તવું જોઈએ. કવિતા કૌશિકે દિલ્હી પોલીસને કહ્યું કે તેઓ પોતાની વર્દીથી આગળ વધીને વિચારે. અભિનેત્રીએ કહ્યું- દિલ્હી પોલીસ, હું તમને એક વિનંતી કરવા માગતી હતી. તમારું પણ તો પરિવાર હશે, માતા-પિતા, બાળકો હશે, ભાઈ-બહેન અને સંબંધીઓ હશે. ભગવાન ન કરે કે આવતીકાલે કોઈને મેડિકલ ઇમરજન્સી આવે અને તેમને કોઈ નકલી ડૉક્ટર ન મળે, પરંતુ કોઈ સારા, સાચા ડૉક્ટર તેમની જિંદગી બચાવી શકે, એટલા માટે જ આ બાળકો પ્રદર્શન કરી રહ્યા છે.
”જે પણ થાય, મારા દેશના બાળકો પર, દેશના નાગરિકો પર હાથ ન ઉઠાવશો. તેમને દુઃખ ન પહોંચાડશો, બસ એટલું જ કહેવું હતું. તેમની સામે તમારી શક્તિનું પ્રદર્શન ન કરશો. આદેશ ભલે જે પણ હોય, તમારું પણ તો એક મન છે, મગજ છે, તમારી પોતાની એક અંતરાત્મા છે. એ જ અંતરાત્માનું સાંભળો. મારા દેશના બાળકો પર હાથ ન ઉઠાવશો. બસ આ જ મારી તમારી પાસે વિનંતી છે.”
કવિતાની આ અપીલ સાથે લોકો સહમત થતા જોવા મળ્યા. વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે ચાહકોએ કવિતાનો આભાર માન્યો છે. એક વ્યક્તિએ લખ્યું- તમે એક પોલીસમેનની દીકરી હોવા છતાં યુવાનોની સાથે છો. આ જોઈને ખૂબ સારું લાગ્યું, થેંક્યુ કવિતા જી, તમને સલામ છે. બીજાએ કહ્યું- તમારો અવાજ ઉઠાવવા માટે આભાર. કોઈએ લખ્યું- ગુડ જૉબ ચંદ્રમુખી ચૌટાલા જી. અમને તમારા જેવા અધિકારીઓની જરૂર છે.
જાણીતું છે કે, કવિતાએ સીરિયલ FIRમાં ઇન્સ્પેક્ટર ચંદ્રમુખી ચૌટાલાની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકાથી તેઓ રાતોરાત લાઇમલાઇટમાં આવી ગયા હતા. કવિતાના પિતા ભૂતપૂર્વ CRPF અધિકારી હતા. કેન્સરના કારણે તેમનું નિધન થયું હતું.
બીજી તરફ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને ચાલી રહેલો કૉકરોચ જનતા પાર્ટીનો માર્ચ સોમવારે સંસદ તરફ આગળ વધશે. ઘણા સેલેબ્સે આ માર્ચને સમર્થન આપ્યું છે. પ્રકાશ રાજ અને શબાના આઝમીએ રવિવારે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી.


