બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધૂળમાં) રમતા અટકાવીએ
સુરત : છેલ્લા થોડા દિવસોમાં રાજયના કેટલાક જિલ્લાઓમાં વાયરલ એન્કેફેલાઇટીસ (ચાંદીપુરા) વાયરસના ચેપ/સંક્રમણના કારણે નાના બાળકો ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષ સુધીના બાળકોના મૃત્યુ નોંધાયા છે. સદનસીબે સુરત જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી સંક્રમણનો એકપણ કેસ નોંધાયો નથી. અગમચેતીના ભાગરૂપે પ્રજાજનોમાં કોઇ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક છે.
શું છે ચાંદીપુરા વાયરસ?
આ એક RNA વાયરસ છે. તેના સંક્રમણથી દર્દી મગજ એનકેફેલાઇટીસનો શિકાર થાય છે. આ વાયરસના ફેલાવવા માટે સેન્ડફલાય (માખી) જવાબદાર છે, અને આ વાયરસ 9 માસ થી 14 વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે.
ચાંદીપુરા વાયરસના લક્ષણો
A. બાળકને સખત તાવ આવવો.
B. ઝાડા થવા.
C. ઉલટી થવી.
D. ખેંચ આવવી.
E. અર્ધબેભાન કે બેભાન થવું.
ચાંદીપુરા વાયરસના ચેપથી બચવા શું કરવું?
1. બાળકોને શકય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં(ધૂળમાં) રમવા દેવા નહી.
2. બાળકોને જંતુનાશક દવાયુકત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો.
3. સેન્ડ ફલાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો, છિદ્રોને પુરાવી દેવા.
4. મચ્છર-માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો.
જો ઉપર જણાવેલ લક્ષણો દેખાય તો નજીકના સરકારી દવાખાને દર્દીને તાત્કાલિક લઇ જઇ સારવાર કરાવવી.
કેન્દ્ર તથા રાજયના આરોગ્ય વિભાગના માર્ગદર્શન મુજબ વાયરલ એન્કેફેલાઇટીસ (ચાંદીપુરા) વાયરસ રોગના નિયંત્રણ અને અટકાયતી કામગીરીના અગમચેતીના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા એપીડેમીક મેડિકલ ઓફિસર સહિત આરોગ્ય તંત્રએ અગમચેતીના ભાગરૂપે જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રના તબીબોને પણ આ રોગની ગાઇડલાઇન અને રોગ અટકાયતી કામગીરી અંગે સજાગ રહેવા માર્ગદર્શિત કર્યા છે.