સોશિયલ મીડિયા પર અશ્લિલ સામગ્રીના પરના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે OTT પ્લેટફોર્મ માટે કડક એડવાઈઝરી જારી કરીને કાયદા દ્વારા પ્રતિબંધિત સામગ્રી પ્રસારિત કરવા સામે OTT પ્લેટફોર્મને વોર્નિંગ આપી હતી.
ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ્સ અને સ્વ-નિયમનકારી સંસ્થાઓને જારી કરેલી એડવાઈઝરીમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે સામગ્રી પ્રસારિત કરતી વખતે IT નિયમો-2021 હેઠળ નિર્ધારિત નૈતિક આચારસંહિતાનું સખતપણે પાલન કરવાનો આદેશ આપ્યો હતો.
આવી સામગ્રીનું વય-આધારિત વર્ગીકરણ કરવાની પણ તાકીદ કરાઈ હતી. સરકારે OTT પ્લેટફોર્મની સ્વ-નિયમનકારી સંસ્થાઓને પ્લેટફોર્મ્સ દ્વારા નૈતિક આચારસંહિતાના ઉલ્લંઘન માટે યોગ્ય પગલાં લેવા પણ જણાવ્યું હતું.
મંત્રાલયે જણાવ્યું હતું કે, OTT પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયામાં અશ્લિલ, પોર્નોગ્રાફિક અને અભદ્ર સામગ્રીના પ્રસારણ અને ફેલાવા અંગે સરકારે સંસદ સભ્યો, વૈધાનિક સંસ્થાઓ અને જાહેર જનતા તરફથી ફરિયાદો મળી છે.
ઉપરોક્ત ફરિયાદોને આદેશે તાકીદ કરવામાં આવે છે કે, ઓટીટી પ્લેટફોર્મ લાગુ પડતાં કાયદાની વિવિધ જોગવાઈઓ તથા આઈટી નિયમો 2021 હેઠળની નૈતિક આચારસંહિતાનો પાલન કરે તે જરૂરી છે.
એડવાઈઝરીમાં જણાવાયું છે કે, ઓટીટી પ્લેટફોર્મ કાયદા દ્વારા પ્રતિબંધિત કોઈ પણ સામગ્રી પ્રસારિત કરી શકશે નહીં. વયસંબંધિત સામગ્રીનું સ્પષ્ટ વર્ગીકરણ કરવાનું રહેશે. ’અ’ રેટેડ કન્ટેન્ટ માટે કંટ્રોલ સિસ્ટમનો અમલ કરવો પડશે, જેથી આવી સામગ્રી બાળક સુધી પહોંચી શકે નહીં. ઓટીટી પ્લેટફોર્મે આવી સામગ્રીના સંદર્ભમાં સાવચેતી રાખવાની રહેશે.
સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના કન્ટેન્ટ નિયમન માટે વ્યવસ્થાતંત્ર ઘડવાનું સૂચન કર્યા પછી સરકારે આ એડવાઈઝરી જારી કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર સામગ્રી શેર કરવાના મુદ્દે કોઈ નિયમનો નથી અને તમામ પ્રકારની સામગ્રી પીરસવામાં આવી રહી છે.