108 ઈમરજન્સી સેવા છેલ્લા 17 વર્ષથી ગુજરાતમાં લોકોનો જીવ બચાવવાનું કામ કરી રહી છે. આ સેવાએ આ 17 વર્ષમાં લાખો લોકોના જીવ બચાવ્યા છે અને એની સફળતા બાદ ઇ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ અને ગુજસેલના સંયુક્ત ઉપક્રમે એર એમ્બ્યુલન્સની પણ શરૂઆત કરવામાં આવી હતી.
એર એમ્બ્યુલન્સની મદદથી અત્યાર સુધી 52 દર્દીઓના એર લિફ્ટ કરી તેમના જીવ બચાવવામાં આવ્યા છે. તેના જ ભાગરૂપે વધુ એક મહત્વની સેવા સામે આવી છે. મૂળ સુરતના વતની સુનિલાબેન અરવિંદભાઈ શાહ ઉંમર 76 વર્ષ છે કે જેઓ હરિદ્વાર ફરવા ગયેલા અને ત્યાં તેમની બ્રેન સ્ટ્રોકથી તબિયત બગડતા સૌપ્રથમ દહેરાદૂનની હિમાલય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને દહેરાદુનથી કાલે બપોરે પોણા ત્રણ વાગે એરલીફ્ટ કરી સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા.
સુરત એરપોર્ટ પરથી સુરત 108 ઇમરજન્સી સેવા દ્વારા તેમને સુરતની મૈત્રેય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આમ 108 ઈમરજન્સી સેવા અને એર એમ્બ્યુલન્સના માધ્યમથી વધુ એક દર્દીનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ એરલિફ્ટનો સફળ સંકલન 108 ઇમરજન્સી સેવા જિલ્લા સુપરવાઇઝર રોશન દેસાઈ તેમજ તેમની ટીમે કર્યું હતું.