હજીરા: નવચેતન અદાણી વિદ્યાલય, પ્રાથમિક વિભાગ, જૂનાગામ ખાતે “Together We Rise” થીમ અંતર્ગત ભવ્ય અને અર્થપૂર્ણ રસોત્સવનું આયોજન થયું. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ અભિનય, નૃત્યનાટિકા, ચર્ચાસભા, કવ્વાલી અને સર્જનાત્મક કૃતિઓ દ્વારા સામાજિક જાગૃતિ, મૂલ્યસંસ્કાર અને પ્રગતિશીલ વિચારોને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થી તથા વાલીઓમાં જાગૃતિ સાથે “સાથે મળીને વિકસીએ” નો સંદેશ પ્રસરાવવાનો રહ્યો.



કાર્યક્રમના અધ્યક્ષસ્થાને અદાણી હજીરા પોર્ટના એચઆર હેડ રીતેશ સાહુએ કર્યુ હતું. વિશિષ્ટ મહેમાનોમાં વિલમારના એચઆર હેડ સોનલકુમાર, અદાણી હજીરા પોર્ટ કોર્પોરેટ અફેર્સ હેડ ભાવેશ ડોંડા, નવચેતન વિકાસ મંડળના પ્રમુખ ભગુભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, હજીરાના PI પરમાર સાહેબ, જીવનભારતી મંડળના અજીત શાહ, PIUBAની ચેરપર્સન અને SVNIT પ્રોફેસર વર્ષાબેન શાહ, SVNITના ટેક્નિકલ સ્ટાફ, હજીરા વિસ્તારની શાળાના આચાર્યશ્રીઓ તથા સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
બાળભવનથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ નાગરિક જવાબદારી, કચરાના સંચાલન, કારીગરોના મહત્વ, સૃષ્ટિચક્રનું સંતુલન, દેશના વિકાસમાં શિક્ષણનો ફાળો, પૌષ્ટિક આહાર, ભારતની સિદ્ધિઓ તથા અદાણી ગ્રુપના સ્થાપક શ્રી ગૌતમ અદાણીની પ્રેરણાદાયક યાત્રા જેવા વિષયો પોતાની કૃતિમાં રજૂ કર્યા. વિદ્યાર્થીઓમાં સંચાલન, આદર, નિયમિતતા, સહકાર અને ચોકસાઈ જેવા મૂલ્યો વિકાસ પામે તે હેતુથી યોજાયેલ આ રસોત્સવમાં સ્વચ્છતા, સંસ્કૃતિ સંરક્ષણ અને આધુનિક વિચારધારા સ્વીકારવા જેવા અનેક સંદેશને ઉપસ્થિત લોકો સુધી અસરકારક રીતે પહોંચાડાયુ હતું. કાર્યક્રમ દ્વારા “Together We Rise” એટલે કે મળીને આગળ વધીએ ત્યારે જ સાચી પ્રગતિ શક્ય છે એવો સશક્ત સંદેશ સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યો.


