ભારતના ચૂંટણી પંચે ગઈકાલે જણાવ્યું હતું કે, ઈલેકટ્રોનિકસ વોટીંગ મશીન (ઈવીએમ) પુરી રીતે સુરક્ષિત છે અને તેને હેક ન કરી શકાય. આયોગે આ પ્રતિક્રિયા અમેરિકી રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક તુલસી ગાબાર્ડના વોટીંગ મશીનોની સંભવિત હેકીંગનાં દાવા વચ્ચે આવી છે.
ગાબોર્ડે દાવો કર્યો છે કે, તેમના કાર્યાલયે મતોમાં હેરાફેરી કરવા માટે ઈલેકટ્રોનિક વોટીંગ પ્રણાલીની હેકીંગનાં પુરાવા મેળવ્યા છે. ભારતીય ચૂંટણી પંચના સુત્રોના જણાવ્યા મુજબ કેટલાંક દેશો જે ઈલેકટ્રોનિક વોટીંગ મશીનોનો ઉપયોગ કરે છે તે અનેક સિસ્ટમ મશીનો અને પ્રક્રિયાઓનું મિશ્રણ છે.
જેમાં ઈન્ટરનેટ અને અન્ય ખાનગી નેટવર્ક પણ સામેલ છે. ભારતમાં ઉપયોગમાં લેવાતા ઈવીએમ અમેરિકા અને અન્ય દેશોથી અલગ છે.સુત્રોએ એ પણ જણાવ્યુ હતું કે ભારતમાં જે ઈવીએમનો ઉપયોગ થાય છે તેમાં ઈન્ટરનેટની જરૂરત જ નથી હોતી કે ન તો તેને કોઈ નેટવર્ક કે વાઈફાઈથી જોડી શકાય છે.
ઈવીએમ સરળ અને ચોકકસ કેલ્કયુલેટની જેમ કામ કરે છે. સાથે સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ઉપયોગમાં લેવાતા ઈવીએમ સુપ્રિમ કોર્ટની કાનુની તપાસમાં ખરા ઉતર્યા છે અને વિભિન્ન ચરણોમાં વિભિન્ન રણનીતિક દળો દ્વારા તેની તપાસ કરવામાં આવે છે.
EVM ના મામલે સુપ્રિમ કોર્ટ જાતે માહિતી મેળવી તપાસના આદેશ આપે: કોંગ્રેસ
નવી દિલ્હી: કોંગ્રેસે ગઈકાલે માંગણી કરી હતી કે સુપ્રિમ કોર્ટે જાતે માહીતી મેળવીને તપાસનો આદેશ આપ્યો છે. કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરજેવાલાએ એકસ પર એક પોસ્ટમાં કહ્યું છે કે, અમેરિકી ગુપ્તચર એજન્સીનાં ડિરેકટર તુલસી ગાબાર્ડે ઈવીએમ હેકીંગનો મુદો અને તેની નબળાઈને જાહેરમાં ઉઠાવ્યા છે. સવાલ એ છે કે ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી પંચ આ મામલે ચુપ કેમ છે. એનડીએ સરકાર અને ભાજપે ચુપ્પી કેમ સાધી છે.