ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ રાષ્ટ્રનિર્માણ અને લોકકલ્યાણનું માધ્યમ છે: ડૉ. પ્રીતિ અદાણી
- ડૉ. પ્રીતિ જી. અદાણીએ નવી MBA બેચને હેતુ-આધારિત નેતૃત્વ ગુણો વિકસાવવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા આહ્વાન કર્યું.
- શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૮ના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં યુનિવર્સિટીના હોદ્દેદારો, ફેકલ્ટી સભ્યો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
- આ હાઇટેક કોર્સમાં ઇન્ડસ્ટ્રી એક્સપોઝર, પ્રાયોગિક જ્ઞાન અને AI-આધારિત શિક્ષણ આપવામાં આવશે.
અમદાવાદ: અદાણી યુનિવર્સિટી ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૮ની ‘MBA ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ’ પ્રોગ્રામની નવી બેચનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. આ ક્ષેત્રમાં કરિયર બનાવવા ઈચ્છતા ૧૨૦ તેજસ્વી વિદ્યાર્થીઓનું યુનિવર્સિટી કેમ્પસમાં ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત ઇન્ડક્શન પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ ઉપરાંત તેમના વાલીઓ અને શિક્ષણ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નવી બેચના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન કરતા અદાણી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. પ્રીતિ જી. અદાણીએ જણાવ્યું હતું કે, “ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ માત્ર રસ્તા, એરપોર્ટ, બંદરો, ઊર્જા પ્રણાલી કે સ્માર્ટ સિટીઝ પૂરતું મર્યાદિત નથી પરંતુ તે લોકોના જીવનસ્તરમાં સુધારો કરવાનું, સમુદાયોને પરસ્પર જોડવાનું, દેશના અર્થતંત્રને મજબૂત કરવાનું અને રાષ્ટ્રનિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપવાનું સશક્ત માધ્યમ છે.”
તેમણે ઉમેર્યું કે, વિદ્યાર્થીઓએ આ બે વર્ષ દરમિયાન શિક્ષણ અને ઉદ્યોગજગત સાથે જોડાવાની દરેક તકનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ. વ્યાવસાયિક સફળતાની સાથે સાથે પ્રામાણિકતા, નૈતિકતા, કરુણા અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા જ જીવનમાં સાચી સફળતા નક્કી કરે છે.
અદાણી યુનિવર્સિટીનો આ વિશેષ કોર્સ માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં વાસ્તવિક દુનિયાના પડકારો અને પ્રોજેક્ટ્સ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા આ અભ્યાસક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત લર્નિંગ અને થિયરીની સાથે સીધા ફિલ્ડ વર્કના અનુભવ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેથી દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને વૈશ્વિક સ્તરના કુશળ પ્રોફેશનલ્સ મળી રહે.
આજના કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે, હાલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. ડિજિટલ ટેક્નોલોજી, સસ્ટેનેબિલિટી (ટકાઉ વિકાસ), ગ્રીન એનર્જી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે આ સેક્ટરમાં નવી તકો ઉભી થઈ રહી છે, જેનો લાભ લેવા વિદ્યાર્થીઓએ સજ્જ થવું પડશે.
દીક્ષાંત સમારોહમાં અતિથિ વિશેષ પ્રો. અરુણ કુમાર શર્મા, પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.) ધવલ પૂજારા, રજિસ્ટ્રાર પ્રો. અમીષ વ્યાસ, ડીન પ્રો. સંદીપ સોલંકી, પ્રો. બૈશાલી મિત્રા અને ડૉ. નમિતા પ્રજ્ઞા સહિત યુનિવર્સિટીના તમામ ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા હતા. અદાણી યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને માત્ર ટેકનિકલ રીતે સક્ષમ જ નહીં, પરંતુ નૈતિક મૂલ્યો અને દેશસેવાની ભાવના સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં આગળ વધારવા પોતાની કટિબદ્ધતા દોહરાવી હતી.


