ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુધ્ધ વચ્ચે ઈરાનમાં માછીમારી કરવા માટે ગયેલા વલસાડ અને નવસારી જિલ્લાના માછીમારો ફસાયા હતા. જેઓને ભારત સરકાર દ્વારા પરત પોતાના માદરે વતન લાવવામાં સફળતા મળતા આજે સોમવારે વલસાડ સરકીટ હાઉસ ખાતે સવારે પ્રથમ બસમાં 38 અને બપોરે બીજી બસમાં 34 મળી કુલ 72 માછીમારો બે બસમાં આવી પહોંચ્યા હતા.
રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ અને જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્મા અને મત્સ્યોદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી હારતોરા સાથે તમામ માછીમારોનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. પોતાના ગામની ધરતી પર પગ મુકતાની સાથે જ તમામ માછીમારોએ ‘‘ભારત માતા કી જય’’ના નારા લગાવી પરિવારને મળવાની ખુશી વ્યક્ત કરી હતી.
રોજી રોટી માટે પોતાના વતનથી સાત સમુંદર પાર ગયેલા વલસાડ – નવસારી જિલ્લાના માછીમારો સુખરૂપે માછીમારી કરી રહ્યા હતા અને ઈરાન- અમેરિકા વચ્ચે યુધ્ધ ફાટી નીકળતા તેઓની હાલત કફોડી બની હતી. પોતાની હાલત અંગેના વીડિયો બનાવી માછીમારોએ નવસારી જિલ્લાના ધોલાઈ બંદર સ્થિત માછીમારી વ્યવસ્થાપન સમિતિ ટ્રસ્ટના હોદ્દારોને મોકલ્યા હતા તેઓએ આ બાબતે નવસારી લોકસભા બેઠકના સાંસદશ્રી અને કેન્દ્રિય જલશક્તિ મંત્રીશ્રી સી. આર. પાટીલ અને વલસાડ- ડાંગના સાંસદશ્રી – વ – લોકસભાના દંડકશ્રી ધવલભાઈ પટેલને બંને જિલ્લાના માછીમારોને પરત લાવવા માટે ધારદાર રજૂઆતો કરી હતી. જેને પગલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને સીધા માર્ગદર્શન હેઠળ કેન્દ્રિય વિદેશ મંત્રીશ્રી એસ. જયશંકરે ઈરાન સરકાર સાથે વાટાઘાટો કરી હતી. જેના સફળ પડઘા પડતા યુધ્ધની ભીષણ પરિસ્થિતિ વચ્ચે વલસાડ નવસારી જિલ્લાના માછીમાર ભાઈઓ સહી સલામત રહે તેવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આખરે તા. 11 એપ્રિલના રોજ સવારે 10 કલાકે 72 માછીમાર ભાઈઓ ઈરાનથી ઈન્ડિયા આવવા ફલાઈટમાં બેઠા હતા અને રાત્રિના 9 કલાકે ચેન્નાઈથી બે બસમાં વલસાડ આવવા રવાના થયા હતા. જેઓ સોમવારે સવારે 9 કલાકે વલસાડ સર્કિટ હાઉસ આવી પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી કલેકટરશ્રી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા, ફિશરીઝ ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ કમિશ્નર શ્રી મિતેશ પંડ્યા, ડેપ્યુટી ડાયરેકટરશ્રી કે.આર.પટણી અને વલસાડ જિલ્લાના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી બિંદુબેન પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ અને નવસારી જિલ્લાના 72 માછીમારો તા. 28 ફેબ્રુઆરીથી ફસાયા હતાઃ ઉપપ્રમુખ ઠાકોરભાઈ ટંડેલ

ધોલાઈ બંદરના માછીમારી વ્યવસ્થાપન સમિતિ ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી ઠાકોરભાઈ બાલુભાઈ ટંડેલે જણાવ્યું કે, વલસાડ – નવસારી જિલ્લામાંથી 72 માછીમારો રોજી રોટી માટે ઈરાન ગયા હતા પરંતુ યુધ્ધની પરિસ્થિતિને કારણે તેઓ તા. 28 ફેબ્રુઆરીથી ત્યાં ફસાયા હતા. જે અંગેની જાણ અમોને થતા અમારા મંડળના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ ડી. ટંડેલ, મંત્રી માથુરભાઈ પી. ટંડેલ અને ટ્રસ્ટી અમરતભાઈ આર. ટંડેલે નવસારી- વલસાડના સાંસદશ્રી સી.આર.પટેલ અને ધવલભાઈ પટેલને રજૂઆત કરતા તમામ માછીમોરાને પરત વતન લાવવામાં સફળતા મળી છે.
ઈરાન પર બોમ્બ ધડાકા થયા ત્યારે સમુદ્રમાં બોટનું જીપીએસ બંધ થઈ ગયુઃ માછીમાર રાજેશ પટેલ

ઈરાનથી પરત આવેલા વલસાડના ઉંટડી ગામના માછીમાર રાજેશભાઈ પટેલે જણાવ્યું કે, તા. 28 ફેબ્રુઆરીએ અચાનક ઈરાન પર બોમ્બ ધડાકા થયા હતા ત્યારે અમે દરિયામાં હતા અને અમારી બોટનું જીપીએસ સહિતના સાધનો બંધ થઈ ગયા હતા. ગભરાઈને એક મહિનો રૂમમાં રહ્યા હતા. તમામ એરપોર્ટ પણ બંધ હોવાથી ઈન્ડિયા કેવી રીતે જવુ તે અંગે મૂંઝવણમાં મુકાયા હતા. નાના-નાના વીડિયો બનાવી સાંસદશ્રીઓને મોકલ્યા હતા. ભારત સરકાર અમારી વ્હારે આવી અને અમને યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ વાહન વ્યવહાર, રહેવાની અને જમવાની સુવિધા મળી હતી. ઈરાનથી ચેન્નાઈ એરપોર્ટ પર આગમન થતા કેન્દ્રિય વાણિજ્ય મંત્રીશ્રી પિયુષ ગોયલે ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું.


