સુરતમાં કોરોના સંક્રમણ વધ્યું છે. જેમાં એક જ દિવસમાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેમજ અઠવાડિયામાં કુલ 9 કેસ નોંધાયા છે. તમામ કેસ સગરામપુરા, ગોડાદરા, રામનગર, ઉધના-મગદલ્લા રોડના હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરમાં ફરી બિલ્લી પગે પ્રવેશી રહેલો કોરોના ધીમે ધીમે ફેલાવા માંડ્યો છે. ત્યારે હજી કોઈ ગાઇડ લાઇન આવી નથી.
ગુરુવારે વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. તેથી સુરત શહેરમાં કોરોનાના કુલ 9 કેસ થયા છે. મેયર દક્ષેશ માવાણીએ આરોગ્ય તંત્રને તકેદારીના તમામ પગલાં ભરવા માટે સૂચના આપી છે. જેમાં નાગરિકોને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવા સૂચન છે. માસ્ક અચૂક પહેરવા માટે અનુરોધ કર્યો છે. પહેલા દર્દી 75 વર્ષીય પુરૂષ (રહેઠાણ – સગરામપુરા) જેઓ રીટાયર્ડ છે. તેઓ હાલ હોમ આઇસોલેશનમાં છે અને તેમની તબિયત સ્થિર છે. તેઓના નજીકના સંપર્કમાં હોય એવા પરિવારના 1 વ્યક્તિને હાલમાં કોઈ તકલીફ નથી.
બીજા દર્દી 60 વર્ષીય સ્ત્રી (રહેઠાણ-ગોડાદરા) જેઓ ગૃહિણી છે અને 18 મે, 2025ના રોજ અમરેલીથી સુરત પરત આવ્યા છે અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલ હોમ આઇસોલેશનમાં છે અને તેમની તબિયત સ્થિર છે. તેઓના નજીકના સંપર્કમાં હોય એવા પરિવારના 6 વ્યક્તિને હાલમાં કોઈ તકલીફ નથી. ત્રીજા દર્દી 44 વર્ષીય પુરૂષ (રહેઠાણ-રામનગર) જેઓ ખાનગી વ્યવસાય કરે છે તેઓ હાલ હોમ આઇસોલેશનમાં છે અને તેમની તબિયત સ્થિર છે. તેઓના નજીકના સંપર્કમાં હોય તેવા પરિવારના 4 વ્યક્તિને હાલમાં કોઈ તકલીફ નથી.
ચોથા દર્દી 61 વર્ષીય સ્ત્રી (રહેઠાણ-ઉધના મગદલ્લા રોડ) જેઓ ગૃહિણી છે અને 24 મે, 2025ના રોજ ઇન્દોરથી સુરત પરત આવ્યા છે અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલ હોમ આઇસોલેશનમાં છે અને તેમની તબિયત સ્થિર છે. તેઓના નજીકના સંપર્કમાં હોય એવા પરિવારના 4 વ્યક્તિને હાલમાં કોઈ તકલીફ નથી. ચારેય દર્દીઓનું સેમ્પલ સરકારની ગાઈડલાઇન મુજબ જીનોમ સિક્વન્સિંગ માટે GBRC, ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યું છે.