ગુજરાતના માર્ગો પર દોડતા વાહનોમાં સીએનજીનો ‘પાવર’ વધી રહ્યો છે.રાજયના ઓટોમોબાઈલ્સ ઈતિહાસમાં પ્રથમ વખત પેટ્રોલ કરતા સીએનજીથી દોડતી કારની સંખ્યા વધી ગઈ છે. નાણાંકીય વર્ષ 2025 માં સીએનજી તથા પેટ્રોલ-સીએનજી કારનું વેંચાણ વાહન 1.25 લાખને આંબી ગયુ છે. જયારે પેટ્રોલ કારનું વેચાણ 1.18 લાખ રહ્યું હતું.
કેન્દ્રીય પરિવહન તથા હાઈવે મંત્રાલયનાં રીપોર્ટમાં આ આંકડાકીય માહિતી જાહેર થઈ છે. પેટ્રોલનાં ઉંચા ભાવને કારણે સસ્તા સીએનજીથી દોડતી કારનો ટ્રેન્ડ વધી રહ્યાનું સુચવાય છે.
વાસ્તવમાં દાયકાઓથી લોકો પેટ્રોલ કાર તરફ જ આકર્ષિત રહેતા હતા અને પેટ્રોલ કાર જ પ્રથમ પસંદગી હતી. 2021 માં 1.39 લાખ પેટ્રોલ કારનું વેંચાણ હતું તે સંખ્યા 40.560 સીએનજી કારની સરખામણીએ ત્રણ ગણી હતી.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે પેટ્રોલનાં ઉંચા ભાવ નવી આધુનિક ટેકનોલોજીવાળી સીએનજી કીટ તથા સીએનજીથી પર્યાવરણ રક્ષા વધુ એવરેજ સહિતના ફાયદાથી ટ્રેન્ડ બદલાયો છે. ડીઝલ વાહનો મોઘા હોવાથી માત્ર એસયુવી ખરીદીમાં જ તેને પ્રાથમીકતા અપાય છે.
બાકી સીએનજીનું જ ચલણ જોવા મળી રહ્યું છે. કાર વિક્રેતાઓનાં કહેવા પ્રમાણે પેટ્રોલ-સીએનજી કારમાં ગમે તે ઈંધણ વાપરવાનો વિકલ્પ મળે છે અને તેમાં ઓપરેશન ખર્ચ ઓછો આવતો હોવાથી ગ્રાહકોનો મોહ વધ્યો છે.
એટલુ જ નહિં સીએનજી કંપની ફીટીંગ જ રહેતુ હોવાથી વિશ્વાસ પણ વધ્યો છે. કંપનીઓને હવે સીએનજી કીટનુ ઉત્પાદન વધારવાની ફરજ પડી રહી છે.
ડિઝલ કારનું વેંચાણ 73000 નુ હતું.ગત વર્ષની સરખામણીએ મામુલી વધારો હતો. 2021 ની સરખામણીએ ડબલ હતું. મોટાભાગે એસયુવી ખરીદનારા લોકો ડીઝલ કારનો આગ્રહ રાખે છે.
કારની એવરેજથી માંડીને અનેક ફાયદા હોવાથી એક વખતે પેટ્રોલ કારની બોલબાલા હવે રહી ન હોવાનું સ્પષ્ટ થાય છે. ઈલેકટ્રીક તથા હાઈબ્રીડ કારનુ વેંચાણ વધી રહ્યું હોવા છતાં પ્રમાણમાં ઓછુ છે. હાઈબ્રીડ કારનું વેંચાણ 6300 યુનિટ નોંધાયુ હતું જે ગત વર્ષે માત્ર 100 નું હતું. ઈલેકટ્રીક કારનું વેંચાણ 6200 હતું.