આજે વહેલી સવારે મોટા વરાછા ખાતે રહેતા સિનીયર પત્રકારના ઘરને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરમાંથી રોકડ રૂપિયા 50 હજાર અને 22 તોલાથી વધુ સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં નોંધાતા સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ તસ્કરોનું પગેરું શોધવા તજવીજ હાથ ધરી છે.
ઉત્રાણ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મોટા વરાછા સ્થિત હરિઓમનગર સોસાયટીમાં રહેતા જગદીશ દવે પત્રકાર તરીકે ફરજ બજાવે છે. પત્રકાર જગદીશ દવે દરરોજ વહેલી સવારે તેમની પત્ની સોનલબેન દવે સાથે બેડમિન્ટન રમવા જાય છે. હાલ ભારે ગરમી હોવાના કારણે ગઈ કાલે રાત્રિએ જગદીશભાઈ પોતાના ઘરની અગાસી ઉપર સુવા માટે ગયા હતા. દરમિયાન રાબેતા મુજબ બેડમિન્ટન ગેમ રમવા માટે ઉઠ્યા હતા અને ઘરમાં પ્રવેશતા સામાન વેરવિખેર હતો જેથી તેમને કંઈક અજુગતુ લાગતા ઘરમાં તપાસ કરતા પોતાના ઘરના રૂમમાંથી ૫૦ હજારથી વધુની રોકડ તથા સોનાના બે મંગળસૂત્ર, સોનાની બંગડીઓ, પેંડલ, વીંટી સહિત કુલ ૨૨થી ૨૩ તોલા સોનાના ૮ દાગીના તથા તેમના પડોશી મુકેશભાઈ કાલુભાઈ કાછડિયાના ઘરેથી ૨૦૦ ગ્રામ ચાંદીનો જૂડો તથા રોકડા રૂા.૨૦ હજારની ચોરી થઈ હતી. આ બંને
સ્થળે મળીને કુલ રૂા.૭.૨૦ લાખના દરદાગીના ચોરાયા હતા. પત્રકાર જગદીશ દવેએ આ અંગે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઉપરાંત સુરત કાઈમ બ્રાંચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ડોગ દસ્ક્વોડની ટીમ દ્વારા પણ તસ્કરોનુ પગેરું શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.