ઓમનો જાપ ઘણીવાર હિન્દુ ધર્મ અને આધ્યાત્મિકતા સાથે સંકળાયેલો છે, પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક પુરાવા પણ છે. ન્યુરોલોજિસ્ટ ડો. શ્વેતા અડાતિયાએ તેમના તાજેતરના સંશોધનમાં હૃદય અને મન પર ઓમના જાપની અસરનો અભ્યાસ કર્યો હતો. તેમના પ્રયોગમાં તેમણે સાબિત કર્યું છે કે, ઓમની ધ્વનિ એક યૂનિવર્સલ ફ્રિક્વન્સી છે, જે માત્ર માનસિક શાંતિ જ નહીં. પરંતુ હૃદયના ધબકારા (હાર્ટ રેટ)ને પણ નિયંત્રિત કરી શકે છે.
બ્રેન સાયન્સમાં ઊંડો રસ ધરાવતી ડો. શ્વેતા હંમેશા પ્રાણાયામ અને મંત્રોના જાપ દ્વારા તણાવ ઘટાડવા અને મનને શાંતિ આપવાના માર્ગો પર કામ કરી રહી છે. તેમણે આ પ્રયોગ દરમિયાન તેની હાર્ટ રેટ વેરિએબિલિટી (HRV)ને માપી અને જાણવા મળ્યું કે, ઓમનો જાપ કરવાથી તેના હૃદયના ધબકારા ૯૦ થી ઘટીને ૬૦પ્ર૬૫ થઈ ગયા.
આ પ્રયોગને વધુ સચોટ રીતે ચકાસવા માટે તેમણે તેની આંગળીમાં પલ્સ ઓક્સિમીટર લગાવ્યું અને તેના શરૂઆતની હાર્ટબીટ ૮૩ પર નોટ કરી. આ પછી તેમણે ઓમનો બે અલગ-અલગ રીતે ઉચ્ચાર કર્યો.
ઓમનો જાપ કરવાની બે રીતો અને તેની અસરો
પ્રથમ રીત : તેમણે ‘’ઓ’ને લાંબા સમય સુધી ખેંચીને જાપ કર્યો. આ કારણે તેના ધબકારા ઘટીને ૭૩ થઈ ગયા.
બીજી રીતઃ તેમણે ‘મ’ ધ્વનિને લાંબા સમય સુધી ખેચી. આ કારણે તેના ધબકારા વધુ ઘટીને ૬૯ થઈ ગયા.
સવારે અને રાત્રે ઓમનો જાપ કેવી રીતે કરવો?
ડો. શ્વેતાએ જણાવ્યું કે, સવારે ઉઠ્યા બાદ ઓમનો જાપ કરતા સમયે ‘ઓ’ લાંબા સમય સુધી બોલવું જોઈએ. કારણ કે તે મગજને સક્રિય કરવામાં અને એનર્જી વધારવામાં મદદ કરે છે. જ્યારે રાત્રે સૂતા પહેલા ‘મ’ નો જાપ લાંબા સમય સુધી કરવો જોઈએ, જે મનને શાંત કરે છે અને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.
હાર્ટ હેલ્થ માટે શા માટે મહત્વપૂર્ણ છે ઓમનો જાપ? : એક સ્થિર ધબકારા માત્ર હૃદયને સ્વસ્થ રાખે છે એટલું જ નહીં પરંતુ તણાવ, ચિંતા અને હૃદય રોગના જોખમને પણ ઘટાડે છે. જો હૃદયના ધબકારા સતત વધારે રહે તો તેનો અર્થ એ છે કે, હૃદય પર વધુ પડતું દબાણ છે, જે પાછળથી માનસિક બીમારીનું કારણ બની શકે છે.