ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શહેરની બે પ્રાથમિક શાળામાં ૮૬ ભુલકાઓનું નામાંકન કરાયું
એક માધ્યમિક શાળા ૪૭૦ વિદ્યાર્થીઓને પ્રવેશ કરાયોઃ
શાળા એટલે હસતા-રમતા ગમ્મત સાથે વિદ્યા મેળવવાનું મંદિર: ગૃહ રાજ્યમંત્રી
સુરત:બુધવાર: રાજ્ય સરકાર દ્વારા ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ પર રાજ્યવ્યાપી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેરની બે પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધો.૧ના કુલ ૮૬ ભુલકાઓને કુમકુમ પગલાં પડાવી, પગ ધોઈ, પદપૂજન કરી વાજતે-ગાજતે પ્રવેશ અપાવ્યો હતો. ઉપરાંત, શહેરની એક માધ્યમિક શાળામાં ધો.૯માં ૨૩૦ અને ધો.૧૧માં ૨૪૦ મળી કુલ ૪૭૦ વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો. મંત્રીશ્રીના હસ્તે પ્રા. શાળાના ભૂલકાઓને દાતાઓના સહયોગથી પ્રાપ્ત સ્કુલબેગ, નોટબુક, છત્રી, ફળો, રમકડા, ચોકલેટ સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું.
મંત્રીએ સુરત મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પ્રા.શાળા ક્રમાંક-૨માં ધો.૧માં ૦૮, બાલવાટિકામાં ૦૮, અને અગ્રસેન ભવન, સિટીલાઈટ સ્થિત મહારાજા અગ્રસેન પ્રા.શાળા ક્રમાંક-૧૬૦ અને ૩૩૭ એમ બે સ્કુલના ધો.૧માં ૪૬, બાલવાટિકામાં ૨૨ મળી કુલ ૮૬ બાળકો, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલના ધો.૯માં ૨૩૦ અને ધો.૧૧માં ૨૪૦ મળી કુલ ૪૭૦ વિદ્યાર્થીઓને ઉત્સાહભેર શાળાપ્રવેશ અને નામાંકન કરાવ્યું હતું.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શાળા એ હસતા-રમતા ગમ્મત સાથે વિદ્યા મેળવવાનું મંદિર છે. શિક્ષકનો શાળા અને વિદ્યાર્થી પ્રત્યેનો લગાવ અને વિદ્યાર્થીઓનો શિક્ષક પ્રત્યેનો લગાવ આ બે સેતુ અરસ-પરસ બંધાય ત્યારે શિક્ષણ યાત્રા તેની ટોચ સુધી પહોચે છે. ખેલમહાકુંભ થકી સંગીત,નૃત્ય, કબડ્ડી, ખો-ખો જેવી રમત ગમતની સ્પર્ધાઓને યોગ્ય પ્લેટફોર્મ મળ્યું છે ત્યારે નાના ભૂલકાઓમાં બાળપણથી ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય એના પર ભાર મૂક્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે સતત ચિંતિત અને આગ્રહી રહ્યા છે. ગુજરાતમાં તેમના પ્રયાસોથી શરૂ થયેલી શાળા પ્રવેશોત્સવની ઉજવણીના કારણે રાજ્યમાં ડ્રોપ આઉટ રેસિયો નહિવત થયો છે, અને ૧૦૦ ટકા નામાંકન થઇ રહ્યું છે. મંત્રીશ્રીએ એક માતા ૧૦૦ શિક્ષકની ગરજ સારે છે એમ જણાવી માતા બાળકના જીવનનો પ્રથમ શિક્ષક બને છે જેથી તેણે બાળકને અભ્યાસ કરવા માટે સતત પ્રેરણા આપવી જોઇએ અને શાળામા બાળકોને નિયમિતપણે મોકલવામાં કચાશ ન રાખે એમ તેમણે ઉમેર્યું હતું.
શાળામાં બાળકોનું ઉચ્ચ જીવન ઘડતર થાય અને સારો નાગરિક બની દેશનું માથું ગર્વથી ઉન્નત કરે તેવા પ્રયાસો કરવાની હિમાયત તેમણે કરી હતી. માતા-પિતાને ટ્રાફિકના નિયમો વિશે સમજ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે વિદ્યાર્થીઓને ગૃહરાજ્યમંત્રીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. માતા-પિતા જ્યારે બાઇક લઇ ઘરની બહાર નીકળે ત્યારે બાળકે તેમને હેલ્મેટ પહેરવાનું અચૂક યાદ અપાવવાનું છે એવી શીખ આપી હતી.