એશિયા કપ 2025 ની ફાઇનલમાં ભારત સામે કારમી હાર બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર તનવીર અહેમદ ગુસ્સામાં ભડકી ઉઠ્યા હતા. પાકિસ્તાની ટીવી ચેનલ પર લાઇવ પ્રસારણમાં, તનવીરએ ખેલાડીઓ પર પ્રહાર કરતા કહ્યું કે ટીમ ફાઇનલ રમવાને લાયક નથી.
તનવીરએ કહ્યું, “તેઓ (ભારત) ફાઇનલ જીતી ગયા. તમે લોકો હંમેશા હરીફાઈ વિશે વાત કરો છો… પરંતુ તેઓએ બતાવ્યું કે કોની પાસે શક્તિ છે. તેઓએ અમને કહ્યું કે તેઓ બધું જ છે, અને તમે ફક્ત હારવાને લાયક છો.”
તનવીરએ પાકિસ્તાની ખેલાડીઓ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો. “ચાલે જાઓ… તેઓએ અમને કહ્યું કે અમે બધું જ છીએ. તમારી બેટિંગ શૂન્ય હતી—થર્ડ-ક્લાસ, થાકેલી બેટિંગ. તમારા કેપ્ટને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં પોતાનો બચાવ કર્યો. કેપ્ટન અને મુખ્ય કોચ કહેતા રહ્યા, ‘અમારા બધા ખેલાડીઓ વર્લ્ડ ક્લાસ છે… આજે શું થયું?'”
ભૂતપૂર્વ ક્રિકેટરે પાકિસ્તાનની નિષ્ફળતા પર વધુ કઠોર શબ્દોનો ઉપયોગ કર્યો, “હું બાંગ્લાદેશ ટીમનો આટલું ગંદુ ક્રિકેટ રમવા અને અમને ફાઇનલમાં પહોંચાડવા બદલ આભાર માનું છું. હું શ્રીલંકાનો પણ આભાર માનું છું, જેના નબળા પ્રદર્શનને કારણે પાકિસ્તાન અહીં પહોંચ્યું. શ્રીલંકા બીજા ક્રમે રહેવાને લાયક હતું.”
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે નિવેદન
૪૬ વર્ષીય તનવીર અહેમદનું આ નિવેદન હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ક્રિકેટ ચાહકો તેમની સ્પષ્ટવક્તાતાની પ્રશંસા કરી રહ્યા છે, પરંતુ ઘણા માને છે કે આવા નિવેદનો ખેલાડીઓનું મનોબળ ઘટાડી દે છે. ફાસ્ટ બોલર તનવીર અહેમદે ૨૦૧૦ થી ૨૦૧૩ દરમિયાન પાકિસ્તાન માટે પાંચ ટેસ્ટ મેચ રમી હતી અને ૧૭ વિકેટ લીધી હતી.
તિલક વર્માની શાનદાર અડધી સદીની મદદથી, ભારતે ફાઈનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો. ટુર્નામેન્ટમાં અજેય રહેલી ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે જીતની હેટ્રિક પણ મેળવી.


