પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે મહિલાઓની ભરતી માટે એક ઓનલાઈન કોર્સ શરૂ કર્યો છે. આ કોર્સનું નામ તુફાત અલ-મુમિનત છે. આ કોર્સ ભંડોળ એકત્ર કરશે અને જૈશની મહિલા પાંખ, જમાત ઉલ-મુમિનત માટે મહિલાઓની ભરતી કરશે.
ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, 8 નવેમ્બરથી શરૂ થનારા આ કોર્ષમાં દરરોજ 40 મિનિટના ઓનલાઈન વર્ગો હશે. આ વર્ગો મસૂદ અઝહરની બે બહેનો, સાદિયા અઝહર અને સમૈરા અઝહર દ્વારા ચલાવવામાં આવશે. આ વર્ગો દ્વારા જૈશનો ઉદ્દેશ્ય મહિલાઓને ઇસ્લામ અને જેહાદમાં તેમની ભૂમિકા વિશે શિક્ષિત કરવાનો છે. આ કોર્ષ માટે દરેક મહિલા પાસેથી 500 પાકિસ્તાની રૂપિયા લેવામાં આવી રહ્યા છે, જેનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે.
સહભાગીઓને ઓનલાઈન ફોર્મ ભરવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. જૈશે તેના બ્રિગેડ, જમાત-ઉલ-મુમિનતની કમાન મસૂદ અઝહરની બહેન, સાદિયા અઝહરને સોંપી છે. સાદિયાનો પતિ, યુસુફ અઝહર, ઓપરેશન સિંદૂર દરમિયાન બહાવલપુરમાં ભારતીય વાયુસેનાના હુમલામાં માર્યો ગયો હતો. મસૂદ અઝહર તેની બહેન, સાફિયા અને પુલવામા આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ ઉમર ફારૂકની પત્ની આફ્રિરા ફારૂકને પણ આ કાર્યમાં સામેલ કરી ચૂક્યો છે.
ઓનલાઈન ભરતીનો હેતુ
રૂઢિચુસ્ત વિચારસરણીને કારણે, પાકિસ્તાની સમાજમાં મહિલાઓ માટે પોતાના દમ પર બહાર નીકળવાનું અસામાન્ય માનવામાં આવે છે. આ માનસિકતાનો લાભ લઈને, જૈશ-એ-મોહમ્મદ હવે મહિલા આતંકવાદી બ્રિગેડ સ્થાપિત કરવા માટે ઓનલાઈન ચેનલો દ્વારા મહિલાઓની ભરતી કરી રહ્યું છે. સુરક્ષા નિષ્ણાતો માને છે કે આ બ્રિગેડનો ઉપયોગ ભવિષ્યમાં ISIS અથવા હમાસ જેવા આત્મઘાતી હુમલાઓમાં થઈ શકે છે.
પાકિસ્તાનના બેવડા ધોરણોનો પર્દાફાશ
પાકિસ્તાન સતત FATF માર્ગદર્શિકા અનુસાર આતંકવાદી ભંડોળ પર કાબુ મેળવવાનો દાવો કરે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેણે જૈશ જેવા સંગઠનોને ઓનલાઈન વર્ગો ચલાવવા અને ખુલ્લેઆમ દાન એકત્રિત કરવાની મંજૂરી આપી છે.
તાજેતરની પ્રવૃત્તિઓ
મસુદ અઝહરે 8 ઓક્ટોબરના રોજ જૈશની મહિલા પાંખની શરૂઆતની જાહેરાત કરી. 19 ઓક્ટોબરના રોજ, પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરના રાવલકોટમાં દુખ્તરન-એ-ઇસ્લામ નામનો કાર્યક્રમ યોજાયો હતો. 27 સપ્ટેમ્બરના રોજ, મસૂદ અઝહરે બહાવલપુરના મરકઝ ઉસ્માન-ઓ-અલીમાં દાન માટે જાહેર અપીલ કરી.


