લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારે પ્રશ્નકાળ દરમિયાન સૂત્રોચ્ચાર કરવા બદલ વિપક્ષી સાંસદોને ઠપકો આપ્યો હતો. તેમણે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને કહ્યું કે, લોકોએ તેમને પ્લેકાર્ડ લહેરાવવા અને પેમ્ફલેટ ફેંકવા માટે ચૂંટ્યા નથી. બિરલાએ સવાલ ઉઠાવ્યો કે શા માટે દેશના લોકોને તેમના પ્રશ્નોના જવાબો મેળવવા દેવામાં નથી આવતા અને પ્રશ્નકાળને વારંવાર કેમ ખોરવાઈ રહ્યો છે?
શું તમે ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા કરવા નથી માંગતા?
કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોના નેતાઓએ સોમવારે લોકસભામાં બિહારમાં ચાલી રહેલા મતદાર યાદીના વિશેષ સઘન સંશોધન (SIR)ના મુદ્દા પર સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની બેઠકની શરૂઆતમાં પ્રશ્નકાળ શરૂ કરતાની સાથે જ વિપક્ષી પક્ષોના સભ્યોએ ‘SIR પાછો લો’ ના નારા લગાવવાનું શરૂ કરી દીધું. બિરલાએ કહ્યું, “શું તમે ગૃહને ખોરવવા માગો છો, શું તમે ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા નથી માગતા? તમે લોકો આવ્યા અને કહ્યું કે ઓપરેશન સિંદૂર પર ચર્ચા થવી જોઈએ… તમે અત્યારે ગૃહને કેમ ચાલવા દેતા નથી?”
તમે આયોજનબદ્ધ રીતે ગૃહમાં વિક્ષેપ પાડ્યોઃ ઓમ બિરલા
ઓમ બિરલાએ ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને કહ્યું, “માનનીય વિપક્ષના નેતા, તમારે તમારા નેતાઓને સમજાવવું જોઈએ કે તેઓને પેમ્ફલેટ ફેંકવા અને ગૃહમાં પ્લેકાર્ડ લહેરાવવા માટે મોકલવામાં આવ્યા નથી.” લોકસભા સ્પીકરે સૂત્રોચ્ચાર કરી રહેલા સાંસદોને કહ્યું, “તમે યોજનાબદ્ધ રીતે ગૃહને ખોરવી નાખો છો, સંસદની ગરિમા ઓછી કરો છો, તમે ગૃહમાં ચર્ચા કરવા નથી માંગતા.” તેમણે કહ્યું કે દેશ જાણવા માંગે છે કે શું તમે આયોજનબદ્ધ રીતે પ્રશ્નકાળ ચલાવવા નથી માંગતા?
છેલ્લી ક્ષણે શરતો લાદવી યોગ્ય નથીઃ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ
લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થાય તે પહેલા ગૃહને સ્થગિત કરવામાં આવ્યું હતું. તેના પર કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે, કોંગ્રેસ અને વિપક્ષ હવે આ મુદ્દે ચર્ચાથી કેમ ભાગી રહ્યા છે? તેમણે કહ્યું, “અમે ચર્ચા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતા, પરંતુ ચર્ચાની માત્ર 10 મિનિટ પહેલા જ વિપક્ષે એક શરત મૂકી કે સરકાર વચન આપે કે આ પછી SIR મુદ્દા પર ચર્ચા થશે. છેલ્લી ક્ષણે આવી શરત મૂકવી યોગ્ય નથી.”


