કોમેડીની દુનિયામાં પોતાનું એક ખાસ સ્થાન બનાવનાર કપિલ શર્મા ફરી એકવાર હેડલાઇન્સમાં છે, પરંતુ આ વખતે તેનું કારણ કંઇક ફની નથી પરંતુ ચિંતા પેદા કરનારી બાબત છે.
કપિલ શર્મા કેનેડાના સરે શહેરમાં ‘કેપ્સ કેફે’ નામની રેસ્ટોરન્ટ ધરાવે છે, જેના પર તાજેતરમાં ફાયરિંગ થયું હતું. હવે આ ગોળીબાર બાદ ખાલિસ્તાની સંગઠન ‘સિખ્સ ફોર જસ્ટિસ’ (SFJ)એ કપિલને સીધો ધમકીભર્યો મેસેજ મોકલ્યો છે.
ખાલિસ્તાની સંગઠને ચેતવણી આપી
SFJના વડા અને કુખ્યાત આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ કપિલને તેનું રેસ્ટોરન્ટ બંધ કરવાનું કહેતો એક વીડિયો જાહેર કર્યો છે.
વીડિયોમાં પન્નુ કહે છે કે “કેનેડા કપિલ શર્માનું રમતનું મેદાન નથી”. તેણે આરોપ લગાવ્યો કે કપિલ શર્મા કેનેડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હિંદુત્વ વિચારધારાને પોતાના બિઝનેસ દ્વારા પ્રોત્સાહન આપી રહ્યો છે.
વીડિયોમાં પન્નુએ એમ પણ કહ્યું કે કપિલ જેવા લોકો ‘મોદી બ્રાન્ડ ઓફ હિંદુત્વ’નું સમર્થન કરે છે અને આવા લોકોએ “તેમની બ્લડ મની હિન્દુસ્તાન પાછી લઈ જવી જોઈએ”. પન્નુએ ધમકી આપી હતી કે કોઈપણ રાજકીય વિચારધારાને પ્રોત્સાહન આપતો કોઈપણ વ્યવસાય કેનેડામાં ખીલવા દેવામાં આવશે નહીં.
ફાયરિંગની જવાબદારી અને NIAની યાદી
નોંધનીય છે કે બુધવારે કપિલ શર્માની આ રેસ્ટોરન્ટમાં ફાયરિંગ થયું હતું. ખાલિસ્તાની આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા સાથે જોડાયેલા હરજીત સિંહ લદ્દીએ આ હુમલાની જવાબદારી લીધી છે.
લદ્દી હાલમાં જર્મનીમાં છે અને તે ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની મોસ્ટ વોન્ટેડ યાદીમાં છે. ભારતમાં પણ તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસ પણ એલર્ટ
આ ઘટના બાદ ભારતમાં પણ હલચલ મચી ગઈ છે. શુક્રવારે મુંબઈ પોલીસની એક ટીમ ઓશિવારામાં જે બિલ્ડિંગમાં કપિલ શર્મા રહે છે ત્યાં પહોંચી હતી.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પોલીસ તેના સરનામાની પુષ્ટિ કરવા માટે જ ગઈ હતી. ન તો તેમની સુરક્ષામાં કોઈ વધારો કરવામાં આવ્યો છે કે ન તો હાલમાં કોઈ સત્તાવાર નિવેદન નોંધવામાં આવ્યું છે.
જો કે કપિલ શર્માએ આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ સાર્વજનિક પ્રતિક્રિયા આપી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સતત તેની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.


