ભારતની વાણિજ્યિક રાજધાની મુંબઈ સતત દુશ્મન દેશોના નિશાના પર રહી છે. 1993ના સિરિયલ બ્લાસ્ટ હોય, 2006ના લોકલ ટ્રેન બ્લાસ્ટ હોય કે 2008માં પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલો હુમલો હોય, દેશના દુશ્મનો મુંબઈના માધ્યમથી ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવી જ રીતે, 13મી જુલાઈ 2011નો દિવસ માત્ર મુંબઈ પર જ નહીં પરંતુ સમગ્ર દેશને ઘા કરી ગયો. લગભગ એક સાથે મુંબઈના ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં બોમ્બ વિસ્ફોટ થયા, જેમાં 20 નિર્દોષ લોકો માર્યા ગયા. તે સમયે 130 લોકો ઘાયલ થયા હતા.
14 વર્ષ પહેલા સિરિયલ બ્લાસ્ટ
14 વર્ષ પહેલા મુંબઈના ઝવેરી બજાર, ઓપેરા હાઉસ અને દાદરમાં આ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. નવેમ્બર 2008 પછી મુંબઈમાં આ સૌથી ઘાતક હુમલો હતો. વિસ્ફોટો માટે સાંજનો સમય પસંદ કરાયો હતો. આ તે સમય છે જ્યારે મોટાભાગના લોકો સામાન ખરીદવા બજારમાં પહોંચે છે.
વિસ્ફોટ ક્યારે થયો?
પ્રથમ વિસ્ફોટ ઝવેરી બજારમાં સાંજે 6:54 વાગ્યે થયો હતો, જેણે પ્રખ્યાત જ્વેલરી માર્કેટને તબાહ કરી દીધું હતું. એક શેરીમાં બાઇકમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હતા. એક મિનિટ પછી, સાંજે 6:55 વાગ્યે, બીજો વિસ્ફોટ શહેરના દક્ષિણમાં ઓપેરા હાઉસના વ્યસ્ત વ્યાપારી વિસ્તારમાં થયો હતો. અહીં બોમ્બ એક ટીફીન બોક્સમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે 7.05 વાગ્યે મધ્ય મુંબઈના દાદર વિસ્તારમાં ત્રીજો બ્લાસ્ટ થયો હતો. અહીં આતંકવાદીઓએ બસ સ્ટેન્ડ પર એક ઇલેક્ટ્રિક પોલ પસંદ કર્યો હતો. તેના પર વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હતા. આ જુદા જુદા બ્લાસ્ટથી આખું મુંબઈ હચમચી ગયું હતું. શહેરમાં અરાજકતા વચ્ચે લોકોને બચાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. વિસ્ફોટોમાં 20 લોકોના મોત થયા હતા, જ્યારે 130 લોકો ઘાયલ થયા હતા.
કોણે લીધી જવાબદારી?
ઇન્ડિયન મુજાહિદ્દીન (IM)એ હુમલાની જવાબદારી લીધી હતી. યાસીન ભટકલ ઉર્ફે સૈયદ મોહમ્મદ અહેમદ જરાર સિદ્દીબાપ્પા આ કેસમાં મુખ્ય આરોપીઓમાંનો એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યાસીન ભટકલ વિસ્ફોટકો ખરીદવા અને ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવતો હતો. ભટકલ ઉપરાંત મુખ્ય આરોપીઓમાં નકી અહેમદ, નદીમ શેખ, કંવર પથરીજા, હારૂન નાઈક, મોહમ્મદ કફીલ અંસારી અને અસદુલ્લા અખ્તર હતા.


