પહેલગામ હુમલાનો બદલો લેવા ઓપરેશન સિંદુર હાથ ધરીને પાકિસ્તાનને ધૂળ ચાટતુ કરી દીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા.
વડોદરા એરપોર્ટ પર રાષ્ટ્રભક્તિથી છલકતુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. રોડ-શોમાં હકડેઠઠ મેદની ઉમટી હતી. બે દિવસ જુદા-જુદા કાર્યક્રમોમાં તેઓ 82000 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત કરનાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ગુજરાતના બે દિવસના પ્રવાસે વડોદરા આવી પહોંચ્યા હતા. એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધીના રોડ-શો મારફત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સેંકડો-હજારોની સંખ્યામાં લોકો ઉમટયા હતા અને વડાપ્રધાન મોદીએ અભિવાદન ઝીલ્યુ હતું.
બે દિવસના પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન મોદી દાહોદ, ગાંધીનગર તથા ભુજ એમ ત્રણ શહેરોમાં કાર્યક્રમોમાં સામેલ થશે અને ત્યાંથી જુદા-જુદા શહેરોના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત કરશે.
આજે દાહોદના કાર્યક્રમમાં વડાપ્રધાનના હસ્તે 9000 એચપીના પ્રથમ લોકોમોટીવ એન્જીનનું રાષ્ટ્રને લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત આણંદ-ગોધરા, મહેસાણા-પાલનપુર, રાજકોટ-હડમતીયા રેલ લાઈનના ડબલીંગ કામ, સાબરમતી-બોટાદના 107 કીમીના રેલ લાઈન ઈલેકટ્રીફીકેશન, કલોલ-કડી રેલલાઈન ગેજ પરિવર્તન સહિત 23292 કરોડના કામોનુ લોકાર્પણ કર્યુ હતું.
આજે બપોર બાદ કચ્છના ભૂજમાં વડાપ્રધાનનો કાર્યક્રમ છે. જયાંથી કચ્છ, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, વાપી, મહિસાગર જીલ્લાના વિકાસકામોનુ લોકાર્પણ-ખાતમુર્હુત કરશે.
કંડલા પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર સોલાર પ્લાન્ટ, પાવર ટ્રાન્સમીશન, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, પાવરગ્રીડ સહિત 33 વિકાસકાર્યોની ભેટ આપશે. આ સિવાય ગાંધીધામના સેન્ટર ફોર એકસેલન્સ, માતાના મઢ પરિસર, ખાટલા ભવાની, ચાચરકુંડ સહિતના વિસ્તારોના વિકાસકાર્યોની ભેટ આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને પગલે કાર્યક્રમ સ્થળોથી માંડીને સમગ્ર રાજયમાં સુરક્ષાના ચુસ્ત પગલા લેવામાં આવ્યા છે.