ગુજરાત માટે બળબળતો ઉનાળો કે આકરી ગરમી નવી વાત નથી. ઉનાળાના તાપમાં ચામડી દઝાડતી હોય તેવો માહોલ સર્જાય છે. માત્ર ઉનાળામાં જ નહિં પણ શિયાળામાં પણ તાપમાન સરેરાશ કરતા વધુ અને આકરૂ જ રહેવા લાગ્યુ હોવાનો અભ્યાસ રીપોર્ટમાં ખુલાસો થયો છે.
કાઉન્સીલ ઓન એનર્જી એનવાયરમેન્ટ એન્ડ વોટર એજન્સી દ્વારા ભારત પર આકરા તાપમાનનો પ્રભાવ વિષય પર જારી અભ્યાસ રીપોર્ટમાં એવુ જાહેર થયુ છે કે ગુજરાતના 97 ટકા જીલ્લાઓ ભારે અથવા અતિભારે ગરમીનાં જોખમ ઈન્ડેકસ હેઠળ આવી જાય છે.
ભારતમાં આંધ્રપ્રદેશ, ગોવા, કેરળ, તથા મહારાષ્ટ્ર એમ ચાર રાજયોનાં તમામ 100 ટકા જીલ્લા ભારે કે અતિભારે ગરમીનાં જોખમ ધરાવતાં ઈન્ડેકસમાં સામેલ છે. ત્યારપછી ગુજરાત પાંચમા ક્રમે છે.
મહત્વની વાત એ છે કે, ગુજરાતનું સ્થાન આકરી ગરમીમાં રાજસ્થાન, કર્ણાટક, તામીલનાડુ, તથા ઉતર પ્રદેશથી પણ આગળ વધી રહ્યું છે. અર્થાત ઉકત રાજયો કરતા ગુજરાતમાં ગરમીનું જોખમ વધુ છે.
રિપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે અત્યંત ગરમ દિવસો કરતાં ગરમ રાત્રીની સંખ્યામાં વધારો છે. 2012 થી 2022 દરમ્યાન ગરમ રાત્રીની સંખ્યા વધી છે. ઉતર ગુજરાતનાં ક્ષેત્રોમાં દિવસ તથા રાત્રીનાં તાપમાનનું અંતર ઓછૂ થઈ ગયુ હતું.
અભ્યાસના તારણ મુજબ ગીચ શહેર તથા આર્થિક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અત્યધિક ગરમીનું જોખમ વધ્યુ છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ હૈદરાબાદ, ભોપાલ તથા ભૂવનેશ્ર્વર જેવા શહેરોમાં સામેલ છે.
ભારતમાં 734 જીલ્લાઓમાં ગરમીના પ્રકોપનાં જોખમ ચકાસવા માટે ‘હિટ રિસ્ક ઈન્ડેકસ’તૈયાર કરવામાં આવે છે. રિપોર્ટમાં ગરમીના ઓછા મધ્યમ ભારે તથા અતિભારે જોખમ ધરાવતાં જીલ્લાઓને જુદી-જુદી કેટેગરીમાં રાખવામાં આવ્યા હતા. ભારતના 57 ટકા જીલ્લાઓ અત્યાધિક ગરમીના જોખમ હેઠળ છે. આ ભાગોમાં દેશની 76 ટકા વસ્તીનો વસવાટ છે.
ભારે જોખમ ધરાવતાં ગુજરાતના જીલ્લાઓમાં કચ્છ, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર તથા તાપી સામેલ છે. એક માત્ર ડાંગ અપવાદ છે.
રીપોર્ટ મુજબ 2012 થી 2022 ના દસ વર્ષમાં રાજયનાં મોટાભાગનાં જીલ્લાઓમાં હીટવેવનાં 3 થી 6 વધુ દિવસો નોંધાયા છે.કચ્છ તથા સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં સામાન્ય કરતા વધુ 9 થી 12 રાત ‘ગરમ’ની શ્રેણીમાં હતી.
રિપોર્ટના તારણ
* ભારતમાં સૌથી વધુ ગરમીનુ જોખમ ધરાવતા ક્ષેત્રોમાં ગુજરાત બીજા ક્રમે
* ગુજરાતના 76 ટકા જીલ્લા અતિભારે જોખમ હેઠળ
* 21 ટકા જીલ્લાઓ ભારે ગરમીના જોખમની શ્રેણીમાં
* 2012 થી 2022ના દાયકામાં ગુજરાતમાં ગરમ રાત્રીની સંખ્યામાં 6થી12ની વૃદ્ધિ
* આકરા ઉનાળાના સમયમાં પણ ભેજના પ્રમાણમાં 3થી6 ટકાનો વધારો