ભરઉનાળાનાં દિવસોમાં આજે ફરી એક વખત મૂંબઈ સહિત દેશના કેટલાંક ભાગોમાં હવામાન પલટો સર્જાયો હતો અને તોફાની પવન સાથે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે આવતા દિવસોમાં અનેક રાજયોમાં ઝંઝાવાત ફુંકાવાનું એલર્ટ જાહેર કર્યું હતું. જયારે રાજસ્થાન, ઉતર પ્રદેશ, માટે હિટવેવનું એલર્ટ જારી કર્યું છે.
દેશના આર્થિક પાટનગર મુંબઈમાં આજે સવારે અચાનક હવામાન પલ્ટો થવા સાથે ભારે વરસાદ ત્રાટકયો હતો. જેને પગલે ઠેકઠેકાણે પાણી ભરાવા સાથે ટ્રાફીક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. કોલાબા, મરીન લાઈન્સ, ભાયખલ્લા, પરેલ, લાલબાગ, દાદર તથા બાંદ્રા જેવા પરા વિસ્તારોમાં ધમધોકાર વરસાદ થયો હતો. અંધેરી તથા બોરીવલીમાં પણ હળવો વરસાદ હતો.આકાશમાં કાળા ડીબાંગ વાદળો સાથે અષાઢી માહોલ છવાયો હતો.0
ભારે વરસાદ અને અનેક સ્થળોએ જળબંબાકાર છતાં ટ્રેનસેવામાં કોઈ અવરોધ આવ્યો ન હતો.મુંબઈ વેધશાળાએ આજે આખો દિવસ છુટાછવાયો હળવો વરસાદ થતો રહેવાની આગાહી કરી છે.
દરમ્યાન રાષ્ટ્રીય હવામાન વિભાગે દેશના અનેક રાજયોમાં પ્રિમોન્સુન વરસાદ તથા ઝંઝાવાતનું એલર્ટ આપ્યું છે. પૂર્વોતર રાજયોનાં અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, ત્રિપુરા, દક્ષિણ ભારતનાં કેરળ, તામીલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, લક્ષદ્વિપ, પશ્ર્ચિમ ભારતના કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડ, ઉપરાંત મધ્યપ્રદેશ, વિદર્ભ, બિહાર, છતીસગઢ, તથા કાશ્મીર હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, પંજાબ હરીયાણા, તથા દિલ્હીમાં ઝંઝાવાતી વરસાદની આગાહી કરી છે.
તા.22 મે સુધીની આ આગાહીમાં કેટલાંક ભાગોમાં 70 કીમી સુધીની ઝડપે પવન ફુંકાવાની પણ ચેતવણી જારી કરી છે. જયાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ શકયતા છે.
અનેક રાજયોમાં વરસાદનું ચેતવણી વચ્ચે અમુક રાજયોમાં કાળઝાળ ગરમીની પણ ચેતવણી આપવામાં આવી છે. ઉતરપ્રદેશ, રાજસ્થાનમાં હીટવેવ રહેશે. જયારો ઓડીશા, પશ્ર્ચિમ બંગાળ તથા તટીય આંધ્રપ્રદેશમાં ભેજવાળી આકરી ગરમી પડવાની શકયતા છે.
ઓડિસામાં કમોસમી વરસાદનો કહેર: વીજળી પડતા 9 લોકોના મોત: અનેક ઘાયલ ઓડિશામાં તેજ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. આ સાથે અનેક જગ્યાએથી વીજળી પડી હતી. વિવિધ જગ્યાએથી વીજળી પડવાની ઘટનામાં 6 મહિલા સહિત ઓછામાં ઓછા 9 લોકોના મોત નિપજ્યા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી અનુસાર, કોરાપુટ જિલ્લામાં ત્રણ લોકોના વીજળી પડવાના કારણે મોત નિપજ્યા હતા. જાજપુર અને ગંજામ જિલ્લામાં બે-બે અને ઢેંકાનાલ તેમજ ગજપતિ જિલ્લામાં 1-1 વ્યક્તિના મોત નિપજ્યા હતા.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કોરાપુટ જિલ્લાના લક્ષ્મીપુર પોલીસ સ્ટેશનના વિસ્તારના પરીડીગુડા ગામમાં વીજળી પડવાના કારણે ત્રણ મહિલાના મોત નિપજ્યા છે અને એક વડીલ ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા હતા.
ત્રણેય એક જ પરિવારના સભ્ય હતાં, જે ભારે વરસાદના કારણે ખેતરમાં કામ કરતા સમયે એક ઝૂંપડીમાં આશરો લઈ રહ્યા હતાં. ઝૂંપડી પર વીજળી પડવાથી ત્રણેય મહિલાના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. જાજપુર જિલ્લાના ધર્મશાલા વિસ્તારમાં વિજળી પડવાથી બે યુવકોના મોત નિપજ્યા હતા.