અંગદાન મહાદાન જનજાગરણ અભિયાનના પ્રણેતા દિલીપદાદા દેશમુખની અંગદાન સેવાકીય પ્રવૃત્તિઓથી રાજ્યમાં અંગદાન પ્રત્યે જાગૃત્તિ આવી છે. દિલીપદાદાએ પ્રગટાવેલી અંગદાનની જ્યોત આજે અનેક પરિવારોમાં ખુશીઓના અજવાળા પાથરી રહી છે અને અંગદાતા પરિવારના કિડની, લીવર, હૃદયના દાનથી હજારો જરૂરિયાતમંદ નાગરિકોને નવજીવન મળ્યા છે, ત્યારે દિલીપદાદા દેશમુખની પ્રેરણાથી તા.૧૧મી એપ્રિલે સવારે ૧૦.૩૦ વાગ્યે વિશ્વના અગ્રણી પ્રવાસન સ્થળ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અર્થે અંગદાન જાગૃત્તિનો સંદેશ આપતી ૩૫૧ મીટર લાંબી સાડી તેમજ પોસ્ટરો, પ્લેકાર્ડસ અને બેનરો સાથે પ્રવાસીઓને અંગદાન પ્રત્યે જાગૃત્ત કરવામાં આવશે.
ખાસ કરીને નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર રાજ્ય અને દેશમાં અંગદાન પ્રત્યે સમજ કેળવાય અને બ્રેઈનડેડ નાગરિકોમાં કિસ્સાઓમાં અવશ્ય ઓર્ગન ડોનેટ થાય એવો ઉમદા પ્રયાસ કરવામાં આવશે. નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા દ્વારા સુરતની નવી સિવિલની ટીમ, નર્સિંગ વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ, નવી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ આરોગ્યકર્મીઓના સહયોગથી ૩૫૧ મીટર સાડી વડે દેશમાં પ્રથમવાર આ પ્રકારની વિશેષ પહેલ કરી લોકજાગૃતિનો અનોખો પ્રયાસ કરાશે.
નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, બ્રેઈનડેડ થવાના બનાવોમાં અચૂક અંગદાન થાય એવો અમારો આ પ્રયાસ છે. કારણ કે બ્રેન ડેડ વ્યક્તિના હૃદય, ફેફસાં સહિત ૨૫ અંગ અન્ય જરૂરિયાત લોકો માટે કામમાં આવે છે. એક બ્રેઈનડેડ વ્યક્તિના પરિજનો સ્વજનના અંગો દાન કરી એક સાથે નવ લોકોને જીવનદાન આપી શકે છે એમ જણાવી વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળે સૌપ્રથમવાર અંગદાન માટે જાગૃત્તિનો નર્સિંગ એસોસિએશને પહેલ કરી છે.