પ્રયાગરાજનાં મહાકુંભમાં મંગળવારે મકર સંક્રાતિનું પ્રથમ શાહીસ્નાન યોજાયુ હતું. શહેરના તમામ માર્ગો ગંગાઘાટ તરફ હોય તેમ સર્વત્ર હર…હર ગંગેના જયઘોષ હતા.સાડા ત્રણ કરોડથી વધુ ભકતોએ ગંગામાં પવિત્ર ડુબકી લગાવી હતી.
સૌપ્રથમ મહાનિર્વાણી તથા અટલ અખાડાના સાધુઓએ અમૃત સ્નાન કર્યું હતું અને તે સાથે જ હર-હર મહાદેવના ઉદઘોષથી અભૂતપૂર્વ માહોલ સર્જાયો હતો. સાધુ સંતો હાથમાં તલવાર, ગદા, ત્રિશુલ, જેવા જુદા જુદા શસ્ત્રો પહોંચ્યા હતા અને અલગ -અલગ અંદાજમાં જોવા મળ્યા હતા.
નાગા સન્યાસીઓની સાથે વિદેશી શ્રધ્ધાળુઓએ પણ આકર્ષણ જમાવ્યુ હતું. મહાકુંભમાં સાડા ત્રણ કરોડથી વધુ ભાવિકોએ શાહીસ્નાન કર્યું હતું.મકર સંક્રાતિએ પરોઢથી રાત સુધી ભાવિકોનો પ્રવાહ યથાવત રહ્યો હતો અને અદભુત ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.હવે પછીનું શાહીસ્નાન 29 જાન્યુઆરીએ થશે.