- નાના શહેરોની છોકરીઓ પણ ભીડભાડ, ગરીબી અને ગૌરવપૂર્ણ જીવનના અભાવને કારણે ધારાવીમાં સ્થાયી થવામાં હિચકિચાટ અનુભવે છે
મુંબઈ: ધારાવીમાં દાયકાઓથી કાર્યરત મેરેજ બ્યુરો કહે છે કે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીના છોકરાઓ જીવનસાથી શોધવામાં સંઘર્ષ કરી રહ્યા છે કારણ કે ભાવિ દુલ્હનો લગ્ન બાદ હવે ઝૂંપડપટ્ટીમાં સ્થળાંતર કરવાનો વિચાર પસંદ નથી કરતી. વરરાજા શોધી રહેલા પરિવારો હવે રહેવાની પરિસ્થિતિઓ, સામાજિક સ્થિતિ અને ગૌરવપૂર્ણ જીવનને બીજા કોઈ પણ વસ્તુ કરતાં વધુ પ્રાધાન્ય આપે છે. ભારતના નાના શહેરો અને અંતરિયાળ વિસ્તારોની મહિલાઓ પણ ભીડભાડ અને ગરીબીનું પ્રતીક બની ગયેલી ધારાવીમાં જવા માટે ખચકાટ અનુભવે છે.
ધારાવીના સ્થાનિક લગ્ન દલાલ ડી સેલ્વિન નાદરે જણાવ્યું કે “આ નકારાત્મક મુદ્દો અપેક્ષાઓમાં અસમાનતા પેદા કરી રહ્યું છે, ધારાવીના યુવાનો હવે સારી ગુણવત્તાવાળા જીવનની શોધમાં કન્યાઓને આકર્ષી શકતા નથી. ફિલ્મો અને ટેલિવિઝન શોએ બતાવ્યું છે કે ધારાવીના છોકરાઓ શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. આજે શિક્ષિત છોકરીઓ પતિમાં મૂળભૂત બાબતો ઇચ્છે છે કે , તે એક સારો વ્યવસ્થિત પુરુષ હોય, જે ખરાબ ભાષાનો ઉપયોગ ન કરે અને સારી પ્રતિષ્ઠા ધરાવતો હોય. તેઓ ધારે છે કે અહીં આવા કોઈ પુરુષો નથી. તેથી, ધારાવીના છોકરાઓને લગ્નના પ્રસ્તાવો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.”
આ વલણ મોટા સામાજિક પરિવર્તનોને પ્રકાશિત કરે છે. શિક્ષણ, કારકિર્દીની સંભાવનાઓ અને પ્રતિષ્ઠિત જીવન હવે લગ્નની પસંદગીઓને આકાર આપે છે. બાલાજી મેટ્રિમોનીના સ્થાપક પનીર સેલ્વમ નાદરે જણાવ્યું હતું કે ડિગ્રી અને નોકરી ધરાવતી સ્ત્રીઓ એવા વિસ્તારોના પુરુષોને પસંદ કરે છે જે તેમની પોતાની મહત્વાકાંક્ષાઓ સાથે મેળ ખાય છે. “છોકરીઓ જાણે છે કે ધારાવીના મોટાભાગના ઝૂંપડાઓમાં શૌચાલય પણ નથી. તેઓ એ પણ જાણે છે કે જાહેર શૌચાલયોમાં મૂળભૂત સ્વચ્છતાનો અભાવ છે અને, તેનાથી પણ વધુ, એકંદરે ખરાબ જીવનશૈલી તેમના વર્તમાન જીવનને વધુ સારું બનાવશે નહીં,” નાદરે કહ્યું. “લગ્ન પછી તેઓ કાદવવાળા, ગંદા ધારાવીમાં કેમ આવશે? તેઓ આ પ્રકારની જીવનશૈલી ન ઇચ્છતા હોવા અંગે ખૂબ જ સ્પષ્ટ છે,” તેમણે ઉમેર્યું હતું.
સરસ્વતી શિંદે (નામ બદલ્યું છે) કહે છે કે, તેમનો પરિવાર તેમના ભાઈ માટે કન્યા શોધી રહ્યો હતો, પરંતુ સફળતા મળી નથી. કોન્ટ્રાક્ટર સાથે સારી નોકરી હોવા છતાં, તેને અસ્વીકારનો સામનો કરવો પડી રહ્યો છે.
“દરેક છોકરીની સરળ અપેક્ષાઓ હોય છે કે, લગ્ન પછી સુરક્ષિત ઘર અને સારી રહેવાની સ્થિતિ. દુઃખની વાત છે કે, ધારાવી આ ખાતરી આપી શકતી નથી. આ ઉપરાંત, ધારાવીના પુરુષો ધારાવીના હોવાને કારણે આ છબીનો નકારાત્મક અસર ભોગવે છે. બહારના લોકો માને છે કે ધારાવીના પુરુષો ટપોરી છે અથવા ડ્રગ્સના વ્યસની છે. આ દરેક માટે આ સાચું નથી, પરંતુ એક લેબલ લાગી જાય છે અને બહારના સમુદાયોમાં ફેલાયેલી વાતને ભૂંસી નાખવી એટલી સરળ પણ નથી,” સરસ્વતી સમજાવે છે. તેમના મતે, આ માનસિકતાને કારણે ધારાવીમાં લાયક પુરુષો માટે જીવનસાથી શોધવાનું મુશ્કેલ બન્યું છે.
એક પેઢી પહેલા, આ અંગે કોઈ મોટી ચિંતા નહોતી. “પરંતુ, આજે, મોટાભાગની દુલ્હનો એવા પતિને સ્વીકારશે જે ઓછું કમાય છે, પરંતુ સ્વચ્છ અને આદરણીય વિસ્તારમાં રહે છે. તેઓ એક સારો પુરુષ ઇચ્છે છે, પરંતુ તેઓ પોતાનું લગ્ન જીવન પાણીથી ભરેલી ગલીઓ અને સાંકડી ઝૂંપડીઓમાં વિતાવવાનું ટાળવા માંગે છે,” સેલ્વિને કહ્યું.
આ જટિલ પડકારે ઘણા લગ્ન દલાલોને બેરોજગાર બનાવ્યા છે. “દુલ્હનો યુવતીઓની અપેક્ષાઓ અને ધારાવીની વાસ્તવિકતાઓ વચ્ચેનું અંતર હજુ પણ યથાવત છે. આપણામાંથી ઘણા અન્ય વ્યવસાયોમાં ગયા છે. કદાચ, પુનર્વિકાસ પછી, આ મુદ્દો સમાપ્ત થઈ જશે, અને વધુ શિક્ષિત દુલ્હનો ધારાવીના ઘરોને જીવન અને ઉલ્લાસથી ભરી દેશે,” તેમ નાદરે કહ્યું.


