સુરતમાં એક ગજબની ઘટના સામે આવી છે. પાલિકાની મંજૂરી વિના જ કોઈ ઓપરેશન સિંદૂર સર્કલ બનાવી દેવાયું છે. અને આ વાતથી ખુદ પાલિકા જ અજાણ હતી.
આ સર્કલના અનેક વીડિયો પણ વાઇરલ થયા હતા. સાંસદે ખુદ પત્ર લખીને ઓપરેશન સિંદૂર સર્કલ તૈયાર કરવાની માગ કરી. જયારે આ ઘટનાનો ખુલાસો થયો છે.
ઉલ્લેખનીય છે કે, કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી અડ્ડાનો સફાયો કરી દીધો હતો. ભારતીય સેનાએ કરેલા આ બહાદુરીના કામને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે ભારતીય સેનાએ કરેલી કામગીરીનો શ્રેય લેવા માટે અનેક નેતાઓ તલપાપડ છે, જેનું ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું.
સુરતના સાંસદ મુકેશ દલાલે રાંદેર વિસ્તારમાં ઓપરેશન સિંદૂરથી થીમ પર સર્કલ બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી. પરંતુ તેઓએ જે સ્થળ પર સર્કલ બનાવવા માંગણી કરી હતી તેમાંથી એક જગ્યાએ તો પહેલેથી જ ઓપરેશન સિંદૂર સર્કલ બનાવી દેવામાં આવ્યું છે.
આનો જશ લેવાનો પ્રયાસ ગણવો કે સાંસદની અજ્ઞાનતા તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે આ જે સર્કલ બન્યું છે તે પણ પાલિકાની મંજૂરી વિના બન્યું હોવાની ફરિયાદ થઈ રહી છે. સુરત મહા નગરપાલિકાએ મંજૂરી વિના બનાવેલા સર્કલ માટે સર્કલ બનાવનાર સંસ્થાને નોટિસ પણ ફટકારી દીધાની ચર્ચા છે.