ભારતીય ક્રિકેટ બોર્ડે વર્તમાન IPL સીઝનના પ્લેઑફ રાઉન્ડની મેચોનાં નવાં વેન્યુની જાહેરાત કરી હતી. બોર્ડની જાહેરાત અનુસાર ટુર્નામેન્ટના એક અઠવાડિયાના સ્થગિત થયા પહેલાં હૈદરાબાદ અને કલકત્તા પ્લેઑફ મેચનું આયોજન કરવાનાં હતાં.
હવામાન પરિસ્થિતિઓ અને અન્ય પરિમાણોને ધ્યાનમાં રાખીને IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા પ્લેઑફ માટે નવાં સ્થળો ન્યુ ચંડીગઢ અને અમદાવાદ નક્કી કરવામાં આવ્યાં છે.
ન્યુ ચંડીગઢના મુલ્લાનપુરસ્થિત નવા સ્ટેડિયમમાં ક્વોલિફાયર-વન (29 મે) અને એલિમિનેટર (30 મે)ની મેચ રમાશે. 2024થી આ સ્ટેડિયમમાં 9 જેટલી IPL મેચ રમાઈ છે અને પહેલી વાર પ્લેઑફ મેચની યજમાની કરશે.
જ્યારે ક્વોલિફાયર-ટૂ (એક જૂન) અને ફાઇનલ મેચ (ત્રણ જૂન)ની યજમાની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને મળી છે. અમદાવાદસ્થિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 2022 અને 2023ની IPL ફાઇનલ મેચ સહિત ઘણી પ્લેઑફ મેચ રમાઈ હતી.