સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આ 14 માર્ચે એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે. આ રંગોત્સવ પ્રસંગે દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવશે. જે બાદ 7 પ્રકારના 51 હજાર કિલો રંગ અર્પણ કરાશે. સવારે દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરાશે. આ ઓર્ગેનિક સપ્ત ધનુષના રંગો ડાયરેક્ટ ઉદયપુરની ફેક્ટરીમાંથી મંગાવ્યા છે.
વિવેકસાગર સ્વામીએ જણાવ્યું કે, આ જીવનનો અલૌકિક લ્હાવો હશે ભક્તિના રંગે રંગાવાનો. દાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તો આનંદકિલ્લોલ કરશે. મહત્ત્વનું છે કે, સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાનારા ગુજરાતના સૌથી મોટા રંગોત્સવમાં 11થી વધુ દેશ સહિત ગુજરાત અને અન્ય રાજ્યના લાખો ભક્તો આવશે. આ માટે મંદિરના સંતો અને ભક્તો દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. તો હરિપ્રકાશદાસજી સ્વામીના સાંનિધ્યમાં અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી સહિત સંતો અને દેશ દુનિયાથી પધારેલા હજારોની સંખ્યામાં આવેલા ભક્તો એક સાથે દાદાના રંગે રંગાશે.
ગુજરાતના સૌથી મોટા રંગોત્સવના આકર્ષણ
મંદિર પરિસરમાં કલરના 70થી 80 ફૂટ ઊંચા 500 બ્લાસ્ટ કરાશે.10 હજાર કિલો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઊડાડવામાં આવશે.100 જેટલા રિબિન બ્લાસ્ટ કરવામાં આવશેભક્તો દાદાના રંગે રંગાયા બાદ રાસ-ગરબાની રમઝટ બોલાવશે.50 નાસિક ઢોલના સથવારે રંગોત્સવ ઉજવાશે.11થી વધુ દેશના ભક્તો રંગોત્સવમાં ભાગ લેવા આવશે.
આ રંગોત્સવ અંગે વાત કરતાં પૂજારી સ્વામીએ જણાવ્યું કે, હોળી અને ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા પહેરાવાશે. દાદાની સન્મુખ 10થી 11 પ્રકારના ઓર્ગેનિક રંગ ધરાવાશે અને ફૂલનો અભિષેક કરવામાં આવશે. સવારે 8થી 11 વાગ્યા સુધી રંગોત્સવ થશે. આ દિવસના વિશેષ વાઘા રાજકોટમાં એક અઠવાડિયાની મહેનતે બનાવવામાં આવ્યા છે.