કોરોના મહામારી દરમિયાન ગડબડ બદલ અનેક સરકારી અધિકારીઓ અને ખાનગી કંપનીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. કર્ણાટકમાં આ ગોટાળાને કારણે સરકારી તિજોરીને 167 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનાં આક્ષેપો થઈ રહ્યાં છે.
તબીબી કર્મચારીઓ માટે પીપીઈ કીટ અને એન 95 માસ્કની ગેરકાયદેસર ખરીદી સાથે સંબંધિત ચાર્જિસ છે. ડિરેક્ટોરેટ ઑફ મેડિકલ એજ્યુકેશનના ચીફ એકાઉન્ટ ઑફિસર ડો એમ વિષ્ણુપ્રસાદ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં ડીએમઈ ના ભૂતપૂર્વ ડિરેક્ટર અને કેટલીક ખાનગી કંપનીઓના મેનેજમેન્ટ સહિત અગ્રણી વ્યક્તિઓ સામે આક્ષેપો કરવામાં આવ્યાં છે.
પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ તેમાં સામેલ કોઈ રાજકીય વ્યક્તિ કે ઉચ્ચ અધિકારીનું નામ નથી આપ્યું. જોકે, આમાં રાજકારણીઓની સંડોવણી હોવાની શક્યતાઓ વધુ હોવાનું કહેવાય છે.
ફરિયાદમાં આરોપ છે કે, 2020 માં કોરોના સંકટ દરમિયાન, તબીબી શિક્ષણ વિભાગે આવશ્યક તબીબી પુરવઠો ખરીદતી વખતે કોઈપણ કાનૂની પ્રક્રિયાઓનું પાલન કર્યું ન હતું.
18 ઓગસ્ટ, 2020 ના રોજ, રાજ્ય સરકારે 17 સરકારી કોલેજો અને એક સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 2.59 લાખ એન 95 માસ્ક અને સમાન સંખ્યામાં પીપીઈ કીટ ખરીદવાની મંજૂરી આપી હતી, જેમાં આ ભ્રષ્ટાચાર થયો હતો. સરકારી આદેશો હોવા છતાં અનેક સ્તરે ગડબડ જોવા મળી હતી. પીપીઈ કિટના સપ્લાય માટે ટેન્ડર પ્રક્રિયા પૂરી પાડવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલોને સપ્લાય કરવામાં આવી ન હતી.