કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર ડોક્ટરના મોતનું મુખ્ય કારણ હાથ વડે ગળું દબાવવા અને ગૂંગળામણ છે. 9 ઓગસ્ટના ઑટોપ્સી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ડૉક્ટરના શરીર પર 16 બાહ્ય અને 9 આંતરિક ઈજાઓ છે.
રિપોર્ટમાં બળાત્કારની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. 16 બાહ્ય ઇજાઓમાં ચહેરા, હોઠ, નાક, ગળા, હાથ અને ઘૂંટણ પર ઉઝરડા અને પ્રાઇવેટ પાર્ટ પર ઇજાઓ જોવા મળી હતી. જ્યારે નવ ઘા આંતરિક ઇજાઓમાં નોંધાયા હતા. જેમાં ખોપરી, ગરદન અને શરીરના અન્ય ભાગોના સ્નાયુઓને થયેલી ઇજાઓનો સમાવેશ થાય છે.
સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે
પોસ્ટમોર્ટમ રિપોર્ટ દર્શાવે છે કે ડૉક્ટરના મૃત્યુ માટે ઘણા લોકો જવાબદાર હોઈ શકે છે. મહિલા ડૉક્ટરનો મૃતદેહ 9 ઓગસ્ટના રોજ આરજી કાર હોસ્પિટલના સેમિનાર રૂમમાંથી મળ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ આ કેસ કોલકાતા પોલીસ પાસેથી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપવામાં આવ્યો હતો. કલકત્તા હાઈકોર્ટે આ માટે આદેશ જારી કર્યો હતો.