સાત વર્ષ કે તેથી વધુની સજાવાળા ગુનાઓમાં ફોરેન્સિક ટીમની મુલાકાત ફરજિયાત: અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં પંચકુલામાં હરિયાણા સરકાર અને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર વચ્ચે તા.29મી જૂન, 2024ના રોજ એક સમજૂતી કરાર થયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનોહર લાલ અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. જે.એમ. વ્યાસ, NFSUના કુલપતિ અને ટી.વી.એસ.એન.પ્રસાદ, IAS, મુખ્ય સચિવ, હરિયાણા સરકાર દ્વારા સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે NFSU સાથે જોડાણ કરીને, હરિયાણાની ફોજદારી ન્યાય પ્રણાલીને વૈજ્ઞાનિક આધાર આપવાનું કામ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે બ્રિટિશ યુગના ત્રણ કાયદા ભારતીય ન્યાય પ્રણાલીનું સંચાલન કરતા હતા, તેમાં ઝડપી ન્યાય અને સહુને ન્યાયની વિભાવના સાથે ફેરફારો કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે આ ફેરફારોનો એક ભાગ એ છે કે હવે સાત વર્ષ કે તેથી વધુની સજાવાળા ગુનાઓમાં ફોરેન્સિક ટીમની મુલાકાત ફરજિયાત કરવામાં આવી છે, જેનાથી ફોરેન્સિક નિષ્ણાતોની માંગ વધશે, જેને NFSU પૂરી કરશે.
શાહે જણાવ્યું હતું કે, આ નવા ફોજદારી કાયદાઓને લાગુ કરવા માટે હવેથી માનવ સંસાધન ઊભું કરવું પડશે. આ દૂરંદેશી સાથે જ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીને કાર્ય કરી રહી છે અને સાથે જ આ નવા કાયદાઓ તૈયાર કરવાનું કામ પણ ચાલી રહ્યું હતું. શ્રી શાહે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આ યુનિવર્સિટીના કેમ્પસ નવ રાજ્યોમાં ખોલવામાં આવ્યા છે અને આ યુનિવર્સિટીને દેશના લગભગ 16 રાજ્યોમાં લઈ જવાનું કામ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આનાથી પ્રશિક્ષિત કુશળ માનવબળનું સર્જન થશે અને ગુનાઓ ઝડપથી ઉકેલાશે અને દોષસિદ્ધિ દરની વૃદ્ધિમાં મદદ મળી રહેશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે એક જ કેમ્પસમાં લેબોરેટરી, યુનિવર્સિટી અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ હોવાને કારણે ટ્રેનર્સ અને તાલીમાર્થીઓ બંનેને મોટી સુવિધા મળશે. તેમણે કહ્યું કે જો અહીં તાલીમ સંસ્થા ખોલવાની યોજના બનશે તો ભારત સરકાર પોતાના ખર્ચે ફોરેન્સિક સાયન્સની તાલીમ માટે ઉત્તમ વ્યવસ્થા કરશે.
અમિત શાહે કહ્યું કે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી માત્ર નવી પેઢીને શિક્ષિત કરવા અને પ્રશિક્ષિત કુશળ માનવબળ તૈયાર કરવા માટે જ કામ કરતી નથી, પરંતુ ફોરેન્સિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. શ્રી શાહે એમ પણ કહ્યું કે આ સાથે દિલ્હી, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI), નાયબ પોલીસ અધિક્ષક (Dy. SP) અને પોલીસ અધિક્ષક (SP) સ્તરના અધિકારીઓ અને ન્યાયાધીશોની તાલીમ પણ અહીં થઈ શકશે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આજે થયેલા સમજૂતી કરાર આગામી દિવસોમાં હરિયાણાની ફોજદારી ન્યાય પ્રણાલીમાં પરિવર્તન લાવશે.